Hariprasad swami funeral ceremony: આ તારીખે થશે હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર, જાણો, સંપૂર્ણ કાર્યક્રમ
Hariprasad swami funeral ceremony: સોખડા મંદિરમાં જ 1 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
સુખડા, 27 જુલાઇઃ Hariprasad swami funeral ceremony: હરિપ્રસાદ સ્વામીના નિધનના સમાચાર મળતા જ વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલ પર અનેક મહાનુભાવો તેમજ હરિભક્તો પહોંચ્યાં હતાં. વડોદરાના મેયર કેયુર રોકડીયા તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિતના અનેક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યાં હતાં.
મહત્વનું છે કે, સોખડા સ્થિત મંદિરમાં ભક્તોને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરવા દેવામાં આવશે. સોખડા મંદિરમાં જ 1 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી આજે અક્ષરધામ નિવાસી થયા છે. વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલતી હતી.અને ગત રાતે તેઓ અક્ષરધામ નિવાસી થયા છે. તેમના નિધનથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે
તેઓએ યોગી ડિવાઈન સોસાયટીના પણ પ્રણેતા હતાં. હરિપ્રસાદ સ્વામીની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત રહેતી હતી. જો કે સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેમનું નિયમિત ચેકઅપ થતું હતું. પરંતુ સોમવારે સાંજે તેઓને ભાઈલાલ અમીન હોસ્પિટલમા વધુ સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં અને રાત્રે 11 વાગ્યે તેઓ જીવનલીલા સંકેલી અક્ષરધામ નિવાસી થયા છે
CM રૂપાણીએ હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરવાસ અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મુખ્યપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું કે યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર અને પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સ્વામીજીના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓને ભગવાન સ્વામિનારાયણ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.’