મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ..તેના વગર શાકભાજી સુકાઈ જાય છે: રસુલભાઈ પઠાણ
- મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ..તેના વગર શાકભાજી સુકાઈ જાય છે: રસુલભાઈ પઠાણ
- બાગાયત ખાતાની યોજના હેઠળ તેમને વિનામૂલ્યે રક્ષક છત્રી મળશે
વડોદરા,૨૮ સપ્ટેમ્બર: વડોદરા તાલુકાના દેણા ગામના રસુલભાઇ કાળુભાઇ પઠાણ શાકભાજીની ખેતી કરે છે અને રીંગણ,તુવેર, ટામેટાં જેવા શાકભાજી પકવે છે. આ દેણા ગામ બસ વડોદરાના પાદરે આવેલું છે.એટલે રસૂલભાઈ પોતે પકવેલા શાકભાજી જાતે જ વડોદરા લાવી પથારો કરી,સીધેસીધું ગ્રાહકોને વેચે છે.
તેમની મોટી મુશ્કેલી એ કે ખુલ્લામાં પથારો કરે એટલે દિવસના તાપમાં પોતે કરમાય અને શાકભાજી પણ કરમાય.અને શાકભાજી કરમાય એટલે ગ્રાહક કસી કસીને ઓછા ભાવે માંગે.શાકભાજી તાજાં રહે તો બજાર ભાવે ચપોચપ વેચાઇ જાય.તેમને થાય કે એક મોટી રક્ષક છત્રી હોય તો મારે તાપ ના વેઠવો પડે,શાક તાજું રહે,ભાવ સારા મળે અને આવક વધે.
અને હવે એમને રક્ષક છત્રી મળવાની છે અને તે પણ સાવ મફતમાં,સરકારની ભેટ તરીકે.
તેમની વહારે આવી છે મુખ્યમંત્રીશ્રી પ્રેરિત સાત પગલાં કિસાન કલ્યાણ હેઠળની શાકભાજી પકવતા અને વેચાણ કરતા ખેડૂતો પરિવારોને વિનામૂલ્યે એક રક્ષક છત્રીની ભેટ આપવાની યોજના.
મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ,એના વગર શાકભાજી સુકાય છે એવા શબ્દોમાં પોતાની ઝંખના વ્યક્ત કરતાં રસૂલભાઇ કહે છે મુખ્યમંત્રી સાહેબે વિનામૂલ્યે છત્રીની ભેટ આપીને ઘણું સારું કર્યું છે. તડકામાં છત્રી વગર ઘણી મુશ્કેલી પડે છે.અમારા જેવા શાકભાજી જાતે પકવીને જાતે જ વેચનારા ને આ છત્રી થી શાકભાજીમાં ખૂબ ફાયદો થશે.
રસૂલભાઇના ચહેરા પર ઝળકતી છત્રી મળવાની ખુશીમાં રાજ્ય સરકારની સંવેદના અને નાના માણસોની કાળજી લેવાના અભિગમની સુખદ છબી નિહાળી શકાય છે.
તાપમાં શાકભાજી વેચવાની એટલે છાંયડો હોય તો શાકભાજી સારી દેખાય..ખેડૂતોને છત્રીની યોજનાથી ઘણાં ફાયદા થશે: બાદશાહ ખાન પઠાણ
શાકભાજી પકવતા અને જાતે જ તેનું વેચાણ કરનાર પરિવારમાં થી એક વ્યક્તિને વિનામૂલ્યે રક્ષક છત્રી આપવાની સહાય યોજનામાં રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા વડોદરા તાલુકાના દેણા ગામના બાદશાહ ખાન પઠાણની પસંદગી થઈ છે.તેઓ સરકારની આ સહૃદયતા થી ખુશી અનુભવી રહ્યાં છે. વરણામા ખાતેના સમારંભમાં તેમણે જણાવ્યું કે તમામ પ્રકારની ખેતી કરું છું
પણ શાકભાજીમાં વધુ પોષણ છે એટલે શાકભાજી વધુ પકવું. તેઓ પકવેલા શાકભાજી જાતે જ વડોદરા લઈ જઈ ગ્રાહકોને સીધું વેચાણ કરે છે. તેઓ કહે છે કે તાપમાં બેસીને શાકભાજી વેચવાની એટલે છત્રી હોય તો વધુ સારું રહે.છાંયડા થી શાકભાજી સારી દેખાય. છત્રી આપવાની યોજનાથી અમારા જેવા ખેડૂતોને ઘણો ફાયદો થશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો માટે ઘણું સારું કર્યું છે. ખરેખર અદના આદમીના સુખની ખેવના કરે,કાળજી લે એ જ સાચી અને સારી સરકાર ગણાય એવો ભાવ એમની સાથેના સંવાદમાં અનુભવાતો હતો.