લવ જેહાદઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન(Love jehad) પ્રવૃત્તિ બનશે બિનજામીન પાત્રગુનો, આ કલમોમાં થયો ફેરફાર- વાંચો સંપૂર્ણ અહેવાલ
નવી દિલ્હી, 27 માર્ચઃ લવ જેહાદ(love jehad) કરનારાઓ દ્વારા યુવતીઓને સારી જીવન શૈલીની લાલચ આપીને, બળ વાપરીને કે પછી ગેરરજૂઆત કે અન્ય કપટયુક્ત રજૂઆતના માધ્યમથી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ પર બ્રેક લગાવવા માટે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક-2021 લાવી રહ્યા છે. કોઈને પણ લગ્ન કરાવીને કે પછી લગ્ન કરાવવામાં મદદ કરીને જે તે વ્યક્તિને બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ પર રોક લાવવાનો ઇરાદો પણ આ સુધારા વિધેયક લાવવાનો પાછળ છે. કલમ 7માં સુધારો કરીને આ ગુનાને બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે.
ખોટા નામ, અટક, ધર્મ કે જાતિનો ઉપયોગ કરીને ધર્માંતર કરાવનારાઓ સામે આકરાં પગલાં લેવાની જોગવાઈ આ સુધારા વિધેયકમાં કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. લગ્ન કરાવીને કે પછી લગ્ન કરાવવામાં મદદરૂપ થઈને ધર્માંતર કરાવવાનો પ્રયાસ કરનારાઓ સામે પણ આ કાયદા હેઠળ પગલાં લઈ શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ માટે કલમ 3માં વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. માતાપિતા, ભાઈબહેન, અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાનથી સગપણ ધરાવતી કોઈ અન્ય વ્યક્તિ ગુનો કરે તો તેની સામે એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ આ વિધેયક મારફતે લાવવામાં આવી છે
કલમ 3ના હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે. સગીરા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સાથે આ પ્રકારે છળકપટ કરવામાં આવ્યું હશે તો તેવા સંજોગોમાં ચારથી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ આ સુધારા વિધેયકના માધ્યમથી કરવામાં આવી છે.તેની સાથે સાથે જ રૂા. 3 લાખનો દંડ કરવાની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં કરવામાં આવી છે. એક ધર્મની વ્યક્તિ દ્વારા બીજા ધર્મની વ્યક્તિનું લગ્ન પહેલા કે લગ્ન પછી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે તો અને ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવવાના હેતુથી લગ્ન કરાવવામાં આવેલું હોય તો તે લગ્ન રદબાતલ કરવાની જોગવાઈ પણ તેમાં કરવામાં આવી છે.
કોઈ સંસ્થા અથવા સંગઠન દ્વારા કલમ 3ની જોગવાઈનું ઉલ્લંઘન કરીને ગુનો આચરવામાં આવ્યો હશે તો સંગઠનનો હવાલો સંભાળતી વ્યક્તિ કે પછી જવાબદાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સંગઠનને રાજ્ય સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી હશે તો તે ગ્રાન્ટ મેળવવાનો હક્ક જે તે સંસ્થા કે સંગઠન ગુમાવી દેશે. બળજબરીથી ધર્મપરિવર્તન ન કરાવ્યું હોવાનું પુરવાર કરવાની જવાબદારી ધર્મ પરિવર્તન કરાવનાર વ્યક્તિને માથે રહેશે. આ અધિનિયમ હેઠળના ગુના બિન જામીનપાત્ર રહેશે. તેની તપાસ નાયબ પોલીસ અધિક્ષકથી ઉતરતા દર્જાના અધિકારી કરી શકશે.
આ પણ વાંચો…