No corona case: ગુજરાતના આ 100થી વધુ ગામડામાં કોરોના વાયરસનો પ્રવેશ થયો નથી…ગામના લોકો ગાઇડલાઇનનું ચુસ્તપણે કરે છે પાલન
રાજકોટ, 26 માર્ચઃ કોરોનાના વધતા કહેર વચ્ચે એક મહત્વના સમાચાર છે કે, રાજકોટ જિલ્લાના 112 ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી કોરોનાની એન્ટ્રી(No corona case) થઈ જ નથી. રાજકોટના 595 ગામમાંથી 18 ટકા ગામ કોરોનાથી બચવામાં સફળ નીવડ્યા છે. જેનુ કારણ એ છે કે, સ્થાનિક સ્તરે રાખવામાં આવેલ સાવધાનીને લીધે અહીં કોરોનાનું સંક્રમણ ફેલાયું નથી.
રાજકોટ તાલુકામાં 21 ગામડા, ઉપલેટા તાલુકામાં 16, વીંછીયા તાલુકામાં 16, પડધરી તાલુકામાં 13 તેમજ જસદણ તાલુકાના 12 ગામડામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી. હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે હજુ ઘણાં ગામો એવાં છે, જ્યાં કોરાના પ્રવેશી શક્યો નથી. ગ્રામજનોની સતર્કતાને કારણે રાજકોટ જિલ્લાનાં 598 ગામો પૈકી 112 ગામો એવાં છે, જ્યાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, આ ગામોમાં શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજકોટ જિલ્લાનાં આ ગામો અન્ય ગામો માટે આદર્શરૂપ બન્યાં છે.
તાલુકાનું નામ | ગામની સંખ્યા |
રાજકોટ | 21 |
વીંછીયા | 16 |
ઊપલેટા | 16 |
પડઘરી | 13 |
જસદણ | 12 |
કોટડા સાંગાણી | 10 |
લોધિકા | 8 |
જામ કંડોરણા | 6 |
ગોંડલ | 5 |
ધોરાજી | 3 |
જેતપુર | 2 |
આ ગામોમાં વસ્તી બહુ જ ઓછી છે. 500 થી લઈને 1500 સુધીની વસ્તી ધરાવતા આ ગામો છે. તેમજ ગામ લોકો દ્વારા માસ્કથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જેથી આ ગામડાઓમાં કોરોનાને ગુજરાતમાં એક વર્ષ થયા બાદ પણ કેસની એન્ટ્રી થઈ નથી. સાથે જ ગામના વૃદ્ધોને વેક્સીન આપવાની કામગીરી પણ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. આમ, ગામડાઓ દ્વારા તમામ તકેદારીઓનું પાલન કરવામાં આવ્યું, જેના ફળ સ્વરૂપે અહી કોરોના પ્રવેશ્યો નથી.
આ 112 ગામો પૈકી એક ગામ માખાવડ ગામ પણ છે. માખાવડ ગામમાં આજ દિવસ સુધી એકપણ કેસ નોંઘાયો નથી, ચૂંટણી સમયે આ વિસ્તારોમાં લોકોના મેળાવડા કરવા દેવામાં આવ્યા ન હતા. અને આજે પણ સતત કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યુ છે. લોકડાઉન સમયે ગામના લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને ગામના કોઇ લોકો બહારગામ રહેતા હોય અને ગામમાં આવે તો તેને ક્વોરન્ટાઇન કરવામાં આવતા હતા. છેલ્લા એક વર્ષથી આ ગામના વૃધ્ધોને કામ સિવાય બહાર નીકળવા દેવામાં આવ્યા નથી અને હાલમાં વેક્સિનેશન ચાલુ છે ત્યારે ગામના તમામ સિનીયર સિટીઝનોને વેક્સિન આપવામાં આવી રહી છે.
ગામના લોકો આ નિયમોનું કરે છે પાલનઃ
- આ ગામોમાં તમામ લોકો માસ્ક પહેરીને જ ઘર બહાર નીકળે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખે છે
- કેટલાક ગામોમાં બહારથી આવતા ફેરિયાઓને આજ દિવસ સુધી પ્રવેશવા દેવામાં આવ્યા નથી.
- કેટલાક ગામોમાં જ્યાં ફેરિયાઓ આવે છે તેને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે તેઓ દૂર ઊભા રહીને પોતાનો ધંધો-રોજગાર કરે.
- ચૂંટણી સમયે આ વિસ્તારોમાં લોકોના મેળાવડા કરવા દેવામાં આવ્યા ન હતા.
- લોકડાઉન સમયે ગામના લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
- ગામના કોઇ લોકો બહારગામ રહેતા હોય અને ગામમાં આવે તો તેને ક્વોરન્ટીન કરવામાં આવતા હતા.
આ પણ વાંચો…