વિદેશમાં વસતા ભારતીય બીજા દેશમાં રહીને વિધાનસભાની ચૂંટણીમાં મત આપી શકે, તે માટે ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને કરી અરજી
અમદાવાદ, 02 ડિસેમ્બરઃ ચૂંટણી પંચએ કેન્દ્ર સરકારને એનઆરઆઈ ને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટેની મંજૂરી આપવાની અરજી મોકલી છે. તે માટે ચૂંટણીના નિયમો 1961ના સુધારા કરીને નવા નિયમ લાગુ કરવા માટે, સંસદની પરવાનગીની પણ જરૂર નહીં રહે. મળેલા અહેવાલો અનુસાર, ચૂંટણી પંચે ગયા અઠવાડિયે, કાયદા મંત્રાલયને અસમ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અરજી મોકલી છે. તે સાથે જ એનઆરઆઈ મતદારો માટે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ કરેલી પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ઇટીપીબીએસ) ને વધારવાનું કહ્યું છે.
સુત્રો દ્વારા મળેલી માહિતી દ્વારા, અંદાજે એક કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. તેમાંથી આશરે 60 લાખ લોકો મતદાન કરી શકે છે. આ પગલા માટે સંસદની પરવાનગીની જરૂર રહેશે નહીં. ચૂંટણી પંચના પ્રસ્તાવમાં જણાવાયું છે કે, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઇચ્છુક કોઈપણ એનઆરઆઈએ ચૂંટણીની સૂચનાના ઓછામાં ઓછા પાંચ દિવસ પછી રીટર્નિંગ ઓફિસર (આરઓ) ને જાણ કરવી જ પડશે..
જો સરકાર ચૂંટણી પંચના આ પ્રસ્તાવને મંજૂરી આપે તો એનઆરઆઈ આગામી વર્ષે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ દ્વારા મત આપી શકે છે. જો કે, વર્તમાન પ્રક્રિયામાં, એનઆરઆઈને ભારતમાં હાજર રહીને મતદાન મથકો પર મતદાન કરવાની સુવિધા છે. પરંતુ ચૂંટણી પંચના આ પ્રસ્તાવ ને મંજૂરી મળી જાય તો એનઆરઆઈ ત્યાં બેઠાં પોસ્ટ દ્વારા પોતાનો મત આપી શકશે.