Pure drinking water: નવા બોર થકી મળતા પીવાલાયક શુદ્ધ પાણીથી, પાણીજન્ય રોગોથી છુટકારો મળશે: આઈ.કે.જાડેજા
Pure drinking water: ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી દ્વારા અનુસૂચિત જાતિના ૨૫ પરિવારોને પ્લોટ ફાળવાયા
- કાર્યવાહક અધ્યક્ષએ ન્યુ આંબેડકરનગર વિસ્તારના પરિવારો માટે બનાવવામાં આવેલ પાણીના નવા બોરનું પણ લોકાર્પણ કર્યું
સુરેન્દ્રનગર, ૧૬ ઓક્ટોબર: Pure drinking water: ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ પ્લોટ ફાળવણી કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ. કે. જાડેજાના હસ્તે સોલડી ગામ- ન્યુ આંબેડકરનગરના ૨૫ દલિત પરિવારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યવાહક અધ્યક્ષએ ન્યુ આંબેડકરનગર વિસ્તારના દલિત પરિવારોને પૂરતું અને પીવાલાયક પાણી મળી રહે તે હેતુસર ૩ લાખથી પણ વધુના ખર્ચે તૈયાર થયેલ બોરનું લોકાર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં કાર્યવાહક અધ્યક્ષએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના પરિવારોને સરકાર દ્વારા મુખ્ય કહેવાય તેવી બે પ્રાથમિક સુવિધાઓ-પીવાલાયક શુદ્ધ પાણી અને આવાસ માટેના પ્લોટ આજે ફાળવ્યા છે. આજે ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર લોકો આવાસ બનાવી, પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરી શકે તે માટે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળતી સહાયનો લાભ લેવા કાર્યવાહક અધ્યક્ષએ અનુરોધ કર્યો હતો. નવા બનેલા બોરથી આ વિસ્તારના લોકોને પીવાલાયક શુદ્ધ પાણી મળવાથી, પાણી જન્ય રોગોથી છૂટકારો મળશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સોલડી ગામ એ એક આદર્શ ગામ બની શકવાની ક્ષમતા ધરાવે છે. દેશ અને રાજ્યમાં અનેક આદર્શ ગામો છે, જ્યાંથી પ્રેરણા લઈ સોલડીને પણ એક આદર્શ ગામ બનાવી શકાય તેમ છે. ગામને આદર્શ ગામ બનવું હશે તો, પ્રત્યેક સમાજને સાથે રાખીને ગામમાં ઘટતી સુવિધાઓની પૂર્તિ કરવી પડશે અને પ્રત્યેક સમાજને સાથે રાખીને ચાલવું પડશે. આજે સોલડી ગ્રામ પંચાયતે તે દિશામાં એક પગલું ભર્યું છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ સહિતના આગેવાનઓ, ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.