Save Bird: ઉતરાયણના દિવસે ૧૭૪ પક્ષીઓ ઘવાયા અને ૬૧ પશુઓ બીમાર પડ્યા: ત્રણ કેન્દ્રો ખાતે આપવામાં આવી સારવાર
વડોદરા, 15 જાન્યુઆરીઃ ઉતરાયણના દિવસે ધારદાર દોરીથી સાવલીમાં વિદેશી મહેમાન ગ્રે લેગ ગૂઝની પાંખ કપાઈ ગઈ એવી જાણકારી આપતાં પરિક્ષેત્ર વન અધિકારી નિધિ દવેએ જણાવ્યું કે જૂજ જોવા મળતું એક સિંગડીયું ઘુવડ ( ઇન્ડિયન ઇગલ આઉલ) પણ ઇજાગ્રસ્ત થતાં વડોદરા લાવી સારવાર કરવામાં આવી છે.તા.૧૦ મીથી કરુણા અભિયાન હેઠળ પતંગ દોરાથી ઘાયલ પશુ પક્ષીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. ૧૦ મીથી અત્યાર સુધીમાં કુલ ૩૯૪ પક્ષી ઘાયલ થયાં એમાં ખૂબ મોટી સંખ્યામાં કબૂતર છે.
હાલમાં ભૂતડીઝાંપા પશુ દવાખાના,પંડ્યા બ્રિજ પાસે પશુ ચિકિત્સાલય અને વન વિભાગની સયાજીબાગ નર્સરી ખાતે પશુપાલન અને વન વિભાગે સંયુક્ત રીતે ઘાયલ પશુપક્ષીઓ ની સારવારની વ્યવસ્થા કરી છે જ્યારે ઘવાયેલા પક્ષીઓની સારવાર ચાલે ત્યાં સુધી શેલ્ટર ની વ્યવસ્થા પણ નર્સરી ખાતે જ કરવામાં આવી છે.
હાલમાં બર્ડ ફ્લૂ ને લગતી તકેદારીઓની સૂચના હેઠળ સારવાર કરનારાઓની સુરક્ષા માટે ૬૫ જેટલી પી.પી.ઈ. કિટ્સ અને હેન્ડ ગ્લોવ્ઝ અને સેનેતાઈઝર જેવી વ્યવસ્થાઓ કરી છે તેવી જાણકારી આપતાં નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું કે ઉતરાયણ ના દિવસે ૧૭૪ ઘાયલ પક્ષીઓને અને ૬૧ જેટલાં બીમાર પશુઓને સારવાર આપવામાં આવી .મોટેભાગે ઘૂઘરી વધારે ખાઈ લેવાથી ગાયો વધુ બીમાર પડે છે.ઘાયલ પક્ષીઓમાં કબૂતર, પોપટ, ચામાચીડિયું, કાગડો, બ્લેક આઇબિઝ,ગ્રે લેગ ગુઝ, પેઈનટેડ સ્ટોર્ક, લેપવિંગ, કોયલ, બતક, ટીટોડી, ચીબરી, ઈગલ બાજનો સમાવેશ થાય છે.સારવાર કેન્દ્રો તારીખ ૨૦ મી સુધી ચાલુ રાખવામાં આવશે અને ઘવાયેલા પક્ષીઓ પૂરેપૂરા સાજા ન થાય ત્યાં સુધી તેમને નર્સરી ખાતે આશ્રય હેઠળ રાખવામાં આવશે
આ પણ વાંચો….