જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં વરસાદ પછી મકાન ધરાશાયી થયું
સદભાગ્યે મહોરમ ને લઈને ત્રણ બાળકો સહિત નો પરિવાર બહાર ગયો હોવાથી થયો આબાદ બચાવ
રિપોર્ટ:જગત રાવલ
જામનગરમાં ભીમવાસ શેરી નંબર ૨, શાળા નંબર -૪૨ ની સામે આવેલું એક રહેણાંક મકાન ભારે વરસાદ પછી તૂટી પડયું હતું. જે મકાનમાં ભાડેથી રહેતા ત્રણ બાળકો સહિતના આઠ સભ્યો ને લઈને બહાર ગયા હતા દરમિયાન પાછળથી મકાન ધરાશાયી થયું હતું. જેથી સદનસીબે જાનહાની ટળી હતી. જામ્યુકોની દબાણ હટાવ શાખા દ્વારા મકાનનો બાકીનો હિસ્સો તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ શેરી નંબર ૨ માં શાળા નંબર ૪૨ ની સામે આવેલા અબ્બાસ ભાઈ સુંભણીયા ની માલિકીના મકાનમાં જામનગરના ઈસ્માઈલભાઈ શેખ અને તેમનો પરિવાર ભાડેથી રહે છે, જેના પરિવારમાં ત્રણ બાળકો સહિત આઠ સભ્યોનો પરિવાર છે. જેઓ ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં મહોરમ નો તહેવાર હોવાથી પરિવાર સહીત બહાર ગયા હતા. દરમિયાન પાછળથી મકાનની છત નો હિસ્સો ધસી પડયો હતો. આ બનાવ સમયે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી.
આ અંગેની જાણ થતા ઈસ્માઈલભાઈ શેખ અને તેમનો પરિવાર ઘર પાસે દોડી આવ્યો હતો, અને મકાન માં રહેલો સામાન કાઢવાની પ્રક્રિયા શરુ કરી હતી. જ્યારે ફાયર બ્રિગેડ શાખા ને જાણ કરતા ચીફ ફાયર ઓફિસર ની કે. એન.બિશ્નોય ની રાહબરી હેઠળ ફાયર શાખાના જયવીરસિંહ રાણા તથા ફાયર ની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી, અને છત નો તૂટેલો કેટલોક હીસ્સો ખસેડવામાં આવ્યો હતો.bપરંતુ એ દરમિયાન પાછળથી સાંજે ૬.૩૦ વાગ્યા ના અરસામાં વધુ હિસ્સો પણ તૂટી પડ્યો હતો.
જે અંગે જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા ને જાણ કરતા દબાણ હટાવ શાખા અધિકારી રાજભા ચાવડા અને સુનિલભાઈ ભાનુશાળી વગેરેએ પણ ઘટના સ્થળે દોડી જઇ મકાનનો અન્ય ભયજનક હિસ્સો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.