રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા:નીતિનભાઈ પટેલ

સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણે
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા તથા અઠવાડિક ડેથ રેટ ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો

  • નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ
  • આરોગ્ય વિભાગના સક્રીય પ્રયત્નોથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા જે ૯ દિવસે બમણી થતી હતી તે ૩૨ દિવસે થાય છે
  • રાજ્યમાં ૯૨૫ થી વધુ ધન્વતરી રથ દ્વારા દરરોજ અંદાજે સવા લાખ લોકોની ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવે છે
  • કોરોના સંક્રમણ ઘટાડવા મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને દરરોજ કોર ગ્રૃપની બેઠક યોજી પરિસ્થિતિનો રિવ્યુ કરી જરૂરી આદેશો આપવામાં આવે છે
  • ખાનગી હોસ્પિટલોની ૫૦ ટકા પથારી સરકાર હસ્તક લઈ દર્દીઓને વિનામૂલ્યે સર્વ શ્રેષ્ઠ સારવાર આપવા લેવાયેલા ગુજરાત સરકારના નિર્ણયની નોંધ નામ. સુપ્રિમ કોર્ટે લીધી :
  • દેશના તમામ રાજ્યમાં ગુજરાત મોડલ અપનાવવા ભારત સરકારને સૂચન કર્યુ
  • કોરોના સંક્રમણ ઉપર નિયંત્રણ લાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં એક-એક સિનિયર અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ
Nitin Patel

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, તબીબી સ્ટાફ, નર્સિંગ તથા પેરા મેડિકલ સ્ટાફ સહિતના કોરોના વૉરિયર્સના અથાગ પ્રયત્નો તથા નાગરિકોના સતત મળી રહેલા સહકાર ઉપરાંત સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ (સાજા થવાનો દર) ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા જયારે અઠવાડિક ડેથ રેટ (મૃત્યુ દર) ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો છે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે.

રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક્સપર્ટ ગ્રૃપ ઓફ ડૉકટર્સની કમિટી મારફતે મળતા સતત માર્ગદર્શન તેમજ આરોગ્ય વિભાગના સક્રીય પ્રયત્નોથી ડેથ રેટ ઉપરાંત ડબલિંગ રેટ પણ ખૂબ જ નિયંત્રણ હેઠળ આવ્યો છે તેમ જણાવતા શ્રી પટેલે ઉમેર્યું હતુ કે, રાજ્યમાં અગાઉ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા જે ૯ દિવસે બમણી થતી હતી તે હવે ૩૨ દિવસે બમણી થાય છે નોંધપાત્ર બાબત છે. એટલું જ નહીં કોરોના સંક્રમણ ઘટાડવા મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને દરરોજ કોર ગ્રૃપની બેઠક યોજવામાં આવે છે જેમાં સંબંધિત જિલ્લાઓની પરિસ્થિતિનો રિવ્યુ કરી જરૂરી માર્ગદર્શન-આદેશો આપવામાં આવે છે. કોરોના સંક્રમણ ઉપર નિયંત્રણ લાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં એક-એક સિનિયર અધિકારીઓને વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

શ્રી પટેલે ઉમેર્યું કે, કોવીડ-૧૯ રોગચાળા દરમ્યાન રાજ્યમાં તા.૧૪મી જુલાઈ ૨૦૨૦ સુધીમાં કુલ ૪૩,૭૨૩ કેસ પોઝિટીવ નોંધાયેલ છે જેમાંથી ૩૦,૫૫૫થી વધુ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપવામાં આવેલ છે. આમ, રાજ્યમાં કોવીડ-૧૯ના દર્દીઓનો સાજા થવાનો દર ૭૦ ટકાએ પહોંચ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કોવીડ-૧૯ના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર મળી રહે તે માટે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં ૫૦ ટકા બેડ આરક્ષિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયેલો છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે. આ સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયની નામ. સુપ્રિમકોર્ટ દ્વારા સકારાત્મક નોંધ લઈ અન્ય રાજ્યોમાં પણ ગુજરાત મોડલને અનુસરવા સૂચન કરવામાં આવ્યું છે. જે ગુજરાત સરકાર માટે ગૌરવપૂર્ણ તથા પ્રસંશનીય બાબત છે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતુ.

રાજ્યના તમામ નાગરિકોને ઘરઆંગણે તેઓના વિસ્તારમાં જ સારવાર મળી રહે તે માટે તમામ જિલ્લા/કોર્પોરેશનમાં ધન્વતરી આરોગ્ય રથ શરુ કરવામાં આવ્યા છે. જેમાં કોવીડ-૧૯ ઉપરાંત અન્ય તમામ રોગોની જરૂરી સારવાર કરવામાં આવી રહી છે. ધન્વતરી રથ અંગે વધુ માહિતી આપતા શ્રી પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ૪૧ જિલ્લા/કોર્પોરેશનમાં કુલ-૯૫૩ ધન્વતરી આરોગ્ય રથ દ્વારા ૩,૬૪૩ જેટલા વિસ્તારોમાં સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં ૯૨૫ થી વધુ ધન્વતરી રથ દ્વારા દરરોજ અંદાજે સવા લાખ જેટલાં નાગરિકોની ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવે છે. જે દર્દીઓને વધુ સારવારની જરૂરીયાત જણાય તેમને હોસ્પિટલમાં રીફર કરી સર્વશ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છે.

આ પરિણામ સુધી પહોંચવા પાછળ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સર્વેલન્સ કામગીરી ખૂબ જ અગત્યની સાબિત થઇ છે. ધન્વતરી રથ સિવાય આરોગ્ય વિભાગની વિવિધ ૪૯૧૦ જેટલી ટીમો સર્વેલન્સ કામગીરી માટે હાલ કાર્યરત છે. આ ટીમમાં ૨ આરોગ્ય કર્મી, ૧ આશાવર્કર તથા ઉપલબ્ધિ હોય તો આયુષ ડૉક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. આ ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ કરે છે. એટલુ જ નહીં તેમને પલ્સ ઓક્સિમીટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે જે દર્દીને ઓક્સિજન ઓછા પ્રમાણમાં મળતો હોય તેવું ધ્યાને આવે તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલના તબક્કે કુલ ૩૬૪૪ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયેલા છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નાગરિકોના અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે. કોરોના સંક્રમણની સાંકળ તૂટે અને સંક્રમણ વધતુ અટકે તે માટે કન્ટેન્ટમેન્ટ ઝોન પર કડક નિયંત્રણ જરૂરી છે. જેને કારણે કન્ટેન્ટમેન્ટ ઝોન વાળા વિસ્તારોમાં લોકડાઉનની જેમ જ કડકાઇથી અમલવારી કરાવવામાં આવી રહી છે તેમ શ્રી પટેલે ઉમેર્યુ હતુ.

સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે ૫૯૭ હોસ્પિટલ /કોવીડ કેર સેન્ટર ખાતે કુલ ૪૨,૦૫૧ આઈસોલેશન બેડ કોવીડ-૧૯ના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથોસાથ કોવીડ-૧૯ ડેજીગ્નેટેડ હોસ્પિટલો ખાતે ૩,૨૫૦ આઈ.સી.યુ. બેડ અને ૨,૨૩૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. રાજ્યનો એક પણ જિલ્લો આ સુવિધાથી બાકાત નથી