A Woman Life: સ્ત્રીનું જીવન, ડબ્બામાં સૂરજ.
A Woman LifeA Woman Life: બીજા બળે નહીં એટલે પોતે જ પોતાના તાપમાં સળગવાનું..
એક સ્ત્રી સૂર્ય છે.. (A Woman Life) એનામાં જે ઉર્જા છે, શક્તિ છે.. એટલે જ તેને સૂર્ય કહેવામાં અતિશયોક્તિ નથી.. પણ સૂર્ય કહેવુ એ તેના વખાણ નથી.. કારણ કે, સ્ત્રીએ તો પોતાના સામર્થ્યને બાંધવાનું છે.. આ સમાજે એ નક્કી કર્યુ છે. કારણ કે સ્ત્રી પાસે અસીમ શક્તિ છે.. સમજની, લાગણીની, મમતાની, વ્હાલની, સર્જનાત્મકતાની.. આ બધી શક્તિ જ્યારે કોઇ એક પાસે હોય એટલે બીજા જેની પાસે તે નથી તેને ઇનસિક્યોરીટી તો થવાની જ ને.. અને એ જ કદાચ કારણ છે કે અત્યારના સમયમાં સ્ત્રીને બાંધવામાં આવે છે.. સંબંધોથી, પ્રેમ સામે શરતોથી, લાગણીઓની બેડીઓ નાખીને એની શક્તિ એની સામે વપરાય છે..
ચાલો ઉદાહરણ કહુ, એક આન્ટી જેમની ઉમર અત્યારે લગભગ 45ની ઉપર છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ પણ કામ કરે કોન્ટ્રાક્ટ પર એક નજીવી કંપનીમાં. તમને લાગશે કે એમા શુ.. હવે કહાનીનો ટ્વીસ્ટ પણ સાંભળો, વર્ષો પહેલા જ્યારે એ આન્ટીના લગ્ન થયા ત્યારે તેમણે આઇપીએસની પરીક્ષા પાસ કરી હતી.. અને સારા માર્ક્સ સાથે તેઓએ મેરિટમાં નંબર મેળવ્યો હતો. પણ જ્યારે લગ્નનીવાત આવી તો સાસરાપક્ષે કહ્યુ કે કામ કરતી વહુ નહીં ચાલે..
એટલે આન્ટીએ પોતાનું સપનું લગ્નની યજ્ઞવેદીમાં હોમી દીધું.. અને બસ એ પરિવારના થઇ ગયા.. એ પરિવારે કે જેણે અત્યાર સુધી એ આન્ટીને પુરેપુરા અપનાવ્યા પણ નથી. કારણ આખર તો એ વહુને.. વિચાર આવ્યો કે આટલી ક્ષમતા અને સામર્થ્ય સાવ વેસ્ટ. અને આવા તો કેટલાય ઉદાહરણ, કોઇની સરકારી જોબ છૂટી, કોઇને અધૂરા ભણતરે ઉઠાવી લેવાય, અને કેટલીક તો એન્જીનીયરીંગ અને એમબીએ કરીને ઘરના રસોડામાં સમયનું રોકાણ કરે. કારણ કે સ્ત્રી ખુબ ભણીને કમાતી હોય તો ઉદ્ધત થઇ જાય છે એવી સ્ત્રીને કોઇ પણ વાંક વિના વંઠેલની ઉપમા સમાજ આપી જે છે.. અને વંઠેલ સ્ત્રી કોણ પોતાના ઘરમાં રાખે..
માઇન્ડ વેલ જે ઉદાહરણ આપ્યુ એ આજના સમયનું છે.. પણ આજના સમય કરતાં વધુ વિચારોની મોર્ડનતા અને આધુનિકતા તો ઇતિહાસમાં છે. ઉદાહરણ, વિદુષી ગાર્ગી, બ્રહ્મવાદિની મમતા, વિશ્વવારા, અપાલા અને ઘોષા આ ઉપરાંત સૂર્યા અને વાક્ પણ.. એકના નામ આગળ વિદૂષી લાગે છે. અને બાકીના નામ આગળ બ્રહ્મવાદિની. આ ઉપમા જ તેમની મહાનતા દર્શાવે છે. વેદો અને ઉપનિષદોમાં જેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ સુક્તો રચી, સ્તુતિ રચી, એ તમામ બ્રહ્મજ્ઞાની સ્ત્રી શક્તિ જેઓ કહેવાઇ બ્રહ્મવાદિની. અને વિદુષી ગાર્ગી જેમની જીજ્ઞાસાએ ઋષિરાજ યાજ્ઞવલ્ક્યને પણ ચુપ કરી દીધા.
એ સમયે આ સ્ત્રીઓને બંધનમાં રાખી હોત તો શું ઋગ્વેદની ઋચાઓ સાકાર થઇ હોત.. ના. પ્રાચીન કાળમાં ખરેખર, નારી નારાયણી હતી. આજે નામ માટે નારીને નારાયણી કહી, એકાદ દિવસ તેના માનમાં ઉજવી દેવાનો ચીલો છે. પરંપરામાં આટલો મોટો ફેર કેવી રીતે આવ્યો. આ સવાલ જ એ વિચારવા પ્રેરે છે કે સમાજીક ઇતિહાસમાં એવી કઇ પેઢી હતી જે સ્ત્રીની શક્તિ જોઇ ન શકી અને સ્ત્રીને ઘરકામમાં પરોવી તેની શક્તિના સૂર્યને પતરાંના ડબ્બામાં પુર્યો.
સ્ત્રીના પ્રકાશ, સ્ત્રીની ઉર્જા અને તેની તપસ્યાના તાપથી એવો તે કેવો ડર હતો કે પ્રકાશની હુંફાળી ઉર્જા લેવાના સ્થાને સૂર્યને તેના પોતાના તાપમાં સળગવા મજબૂર કર્યો. પહેલાની સમાનતા અને સ્ત્રીદાક્ષિણ્યની વાતો અભરાઇએ ચઢી અને ધીરે ધીરે સમાજ પુરુષ પ્રધાન થતો જ ચાલ્યો.. પુરુષ પ્રધાન સમાજથી મને કોઇ વાંધો નથી. પણ હવે આ સમાજમાં સર્જનાત્મકતા, વિચારશીલતા, ઉદારતા, નૈતિકતાનો અભાવ છે. અને એ અભાવ એ સૂર્યના પ્રકાશની ગેરહારજીને કારણે છે જે સમાજને સકારાત્મકતાની ઉર્જાથી ધનવાન કરી શકે એમ હતો. એ સૂર્યને હવે પોતાના પ્રકાશમાં પોતે જ બળવા મુકી દેવાયો છે.. કારણ એ સ્ત્રી છે. અને સ્ત્રીની શક્તિઓથી લોકો ડરે છે..
કોઇનામાં એ હિંમત નથી કે સ્ત્રીની શક્તિને આધાર આપી તેને ગગન આંબવા દે. કોણ જાણે કઇ પેઢી હતી, જેણે સમાજમાં આ ઇનસિક્યોરીટી એવી ઠસોઠસ ભરી કે આજે પણ સ્ત્રીને બાંધવા સિવાય કોઇ વિકલ્પ કોઇને ખબર નથી, સ્ત્રીને દાબીને રાખવાનો ચીતરેલો એ ચીલો હજુ ચાલે છે. સ્ત્રીની શક્તિઓ ઇતિહાસ રચી શકે છે. પણ આ ઇતિહાસ રચાઇ એની સામે કોણ જાણે કઇ એક પેઢીની અદેખાઇએ અવરોધ ઉભો કરી દીધો.. અને અવરોધ પણ એટલો મજબૂત કે હવે તો સમાજમાં વિચારશીલતા વિકસતી જ નથી.. કારણ કે કોઇ ઘરેડની બહાર જવાની હિંમત નથી ધરાવતુ.. કોઇને પરંપરાઓને ખોટી કહી વહેણની સામે નથી થવુ.. પુરુષ એના કમ્ફર્ટઝોનમાં ખુશ છે, તો સ્ત્રીએ પોતાની શક્તિઓને શાપ માની લીધો છે..
હું સમાનતાની વાત નથી કરતી.. પુરુષ અને સ્ત્રી બંનેના દિમાગ જુદા, બંનેની શરીર રચના જુદી, સામર્થ્ય જુદા તો સમાનતાની વાત કરીને મૂર્ખામી શા માટે કરવી.. બંનેની અલગ જગ્યા છે.. જેમ સૂર્ય અને ચંદ્રના જુદા સ્થાન છે એમ, જેમ રાત અને દિવસ અલગ છે એમ.. બંને પોતાના સ્થાનથી બીજાને કદાચ પુર્ણ રીતે સમજી નહીં શકે. કારણ કે આખરે કોના જૂતા ક્યાં ડંખે છે એ તો પહેરનાર જ જાણે, પણ એકબીજાને સમજવાની કોશિષ કર્યા વિના તેને ખોટુ જ માનીને ચાલવાની પ્રથા ક્યારે મટશે…
સ્ત્રી સમજે છે એટલે સમજતી રહેશે અને સહન કરતી રહેશે.. અને પુરુષ એના દર્દથી અજાણ એને ડ્રામાક્વીન માનતો રહેશે.. પણ પુરુષ શા માટે સ્ત્રીના જનીનોની આનુવંશિકતાને સ્વીકારી નથી શકતો.. શા માટે ખરા અને ખોટા સાબિત થવાની હોડ, જેવા છો એવા સ્વીકારીને સપોર્ટ આપવાની સાધના શા માટે નહીં..
Tweet
આ પણ વાંચો..Intjaar part-22: રીનાએ એના સાસુ ,સસરાને જઈને વાત કરી કે આપણી બાજુમાં..