Murder case: ભાવનગરના ચિત્રા વિસ્તારમાંથી ગુમ થયેલી સગીરાની ક્રુરતાપૂર્વક પેચિયાથી હત્યા કરાઈ હોવાની આશંકા
Murder case: 16 તારીખે ગૂમ થયેલી સગીરાના રહસ્યમય મોતને લઈ પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા
ભાવનગર, 24 સપ્ટેમ્બરઃ Murder case: ભાવનગરના ચિત્રા વિસ્તારમાંથી અઠવાડિયા પૂર્વે ગુમ થયેલી સગીરાની થોરડી ગામ પાસેથી લાશ મળી આવી છે. ગત 16 તારીખના રોજ સગીરા ગૂમ થઈ હતી. જે અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાની લાશ પેનલ પીએમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
બે દિવસ સુધી સગીરાની શોધખોળ બાદ પત્તો ના લાગતા 19 તારીખે સગીરાના માતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પરિવારજનો દ્વારા પોતાની પુત્રીની તલાશ યથાવત રાખવામા આવી હતી. પરંતુ, ગઈ કાલે તેની લાશ મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
સગીરા મામાના ઘરે સિદસર ગઈ હતી. ત્યાંથી મામાને થોરડી ગામ પ્રસંગ જવાનું થતા સગીરા પણ તેના મામા સાથે થોરડી ગામમાં ગઈ હતી. જ્યાંથી 16 તારીખે ગૂમ થઈ ગઈ હતી. સગીરાના રહસ્યમય મોતને લઈ પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. પોલીસે સગીરાના મોતનું ચોક્કસ કારણ જાણવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. લાશના પેનલ પીએમ બાદ રિપોર્ટમાં મોતનો ખુલાસો થઈ શકે છે.
સગીરાને ગળે ટાઈટ દુપટ્ટો બાંધેલો હતો તેના પેટમાં પેચિયાના 5 થી 6 ઘા ઝિંકાયા હતા તેમજ મોં વિકૃત હાલતમાં હતું. તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી તેથી તેના પરિવારજનોને બોલાવાતા કપડાના આધારે તેની ઓળખ કરાઈ હતી.