CDS Bipin rawat: CDS બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહને આજે દિલ્હી લવાશે, આવતીકાલે કરવામાં આવશે અંતિમસંસ્કાર
CDS Bipin rawat: તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે
નવી દિલ્હી, 09 ડિસેમ્બરઃ CDS Bipin rawat: CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહને આજે દિલ્હી લાવવામાં આવશે. 10 ડિસેમ્બરના રોજ તેમના અંતિમસંસ્કાર કરાશે. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સ ચીફ વીઆર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી.
આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ સંસદમાં આ અંગે નિવેદન આપશે. તેઓ 11.15 વાગ્યે લોકસભામાં અને 12 વાગ્યે રાજ્યસભામાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે જાણકારી આપશે.
ઉલ્લેખનીય છે કે, તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત(CDS Bipin rawat), તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, જેમને ગંભીર સ્થિતિમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું ત્યારે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.
અમેરિકાએ શોક વ્યક્ત કર્યો
પેન્ટાગનના પ્રેસ સચિવ જોન કિર્બીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત (CDS Bipin rawat) અને તેમના સાથી સૈન્ય કર્મચારીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના પ્રમુખ જનરલ માર્ક મિલે પણ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના રક્ષા સચિવ લોયડ જે ઓસ્ટિને પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આ પહેલાં વર્ષ 2015માં પણ તેઓ એક હેલિકોપ્ટરમાં સવાર હતા તે ચોપર પણ ક્રેશ થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં તેઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના ઘટી હતી ફેબ્રુઆરી 2015માં જ્યારે લેફટનન્ટ જનરલ બિપિન રાવત સેનાની દિમાપુર સ્થિત 3-કોરના હેડક્વાર્ટરના પ્રમુખ હતા. દિમાપુરથી જ્યારે તેઓ ચિત્તા હેલિકોપ્ટરમાં સવાર થઈને નીકળ્યા કે અચાનક જ થોડી ઉંચાઈ પર તેમના ચોપરે નિયંત્રણ ગુમાવ્યું અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ ઘટનાની પાછળ એન્જિન ફેલ થયું હોવાનું સામે આવ્યું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવતને સામાન્ય ઈજા થઈ હતી.
નોંધનીય છે કે, જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. તેમણે 1લી જાન્યુઆરી 2020ના રોજ પદ સંભાળ્યું હતું. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા. વર્ષ 2016માં ઉરી સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા પછી આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનમાં આવેલી આતંકી શિબિરોને ધ્વસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી કરી હતી.