Navratri: ચંદ્ર સમાન સુંદર માતાનાં આ રૂપથી દિવ્ય સુગંધીઓ અને દિવ્ય ધ્વનીઓનો આભાસ થાય છે
Navratri: આદ્યશક્તિની આરાધનાનાં પર્વનો ગઈકાલે ત્રીજો દિવસ એટલે કે ત્રીજું નોરતું હતું. નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ જ સુંદર, મોહક અને અલૌકિક છે.
અસુરોનાં વિનાશ માટે દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયાં. દેવી ચંદ્રઘંટાએ ભયંકર દૈત્યોની સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. મા ચંદ્રઘંટા એ મા દુર્ગાનું જ શક્તિરૂપ છે જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે.
पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता। प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता।।
એટલે કે દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીનાં હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કરેલ છે.
તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. એક હાથ જ્ઞાન મુદ્રામાં અને એક હાથ આશીર્વાદ આપતો દેખાય છે.
આ પણ વાંચો:- Film story effect: સાગર મળ્યો મલ્હારને!
તેમની પૂજા કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે અને ભક્તોનાં કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે. દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે. માતાને સુગંધ પ્રિય છે. તેમનું વાહન સિંહ છે અને તેમની પૂજાથી અહંકાર દૂર થાય છે.
સિંહ પર સવાર દસ ભૂજાવાળી દેવી ચંદ્રઘંટાનું મુખ અસુરોને હણવાને સદાય તત્પર રહે તેવું ક્રોધાયમાન દીપી રહ્યું છે. મા ચંદ્રઘંટાનું આ રૂપ શૌર્ય અને સંહારનું પ્રતિક છે પણ ભક્તો માટે તે એટલું જ સૌમ્ય, કોમળ અને શીતળતા અર્પનારું છે. માતાનાં યુધ્ધરત દેખાવનો ફાયદો પણ છે : ભક્તમાં સિંહ જેવી શૌર્યતાનાં બીજ રોપાય છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે પાછો તો ન જ પડે !
મહા મહિનાની ગુપ્ત નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!!
या देवी सर्वभतेषु चंद्रघंटा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।