Ma-card yojana: જરૂરિયાતમંદોને મફત તબીબી સારવાર મળે તે માટે પ્રયાસ, ગુજરાત સરકાર વીમા પ્રિમિયમ પેટે આટલા કરોડ ચૂકવશે
Ma-card yojana: રાજ્ય આરોગ્ય વિભાગે આયુષ્યમાન કાર્ડધારક દર્દીને સરકારી હોસ્પિટલોમાં સારી તબીબી સુવિધા મળી રહે તે માટે ખાસ આયોજન કર્યુ છે
ગાંધીનગર, 23 ઓગષ્ટઃ Ma-card yojana: ગુજરાતમાં 65 લાખ ગરીબ કુંટુબોને સારી તબીબી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. PMJAY-MA ( મા યોજના ) યોજના અંતર્ગત આ કુંટુબોને આવરી લેવામાં આવશે. આ યોજનામાં રાજ્ય સરકાર વિમા પ્રિમિયમ પેટે રૂા.1400 કરોડ જેટલી માતબર રકમ ચૂકવશે. અત્યારે આયુષ્યમાન કાર્ડ બનાવવા સમગ્ર રાજ્યમાં અભિયાન હાથ ધરાયુ છે જેને વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે.
રાજ્ય આરોગ્ય વિભાગે આયુષ્યમાન કાર્ડધારક દર્દીને સરકારી હોસ્પિટલોમાં સારી તબીબી સુવિધા મળી રહે તે માટે ખાસ આયોજન કર્યુ છે. અધિકારિક સૂત્રોનું કહેવુ છેકે, સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે ઓછો ખર્ચ કરવો પડે છે પણ હવે આયુષ્યમાન કાર્ડધારક દર્દી માટે સરકારી હોસ્પિટલોમાં અલાયદી વિન્ડો હશે જેથી તે તરત જ દાખલ થઇ શકશે.
સમયસર ઓપરેશન સહિતની સારવાર શરૂ થઇ જશે. એટલું જ નહીં, હવે તો આયુષ્યમાન કાર્ડ ધારક દર્દીની ફાઇલ પર આરોગ્યમિત્રનો મોબાઇલ નંબર લખાઇ જશે જેથી દર્દીને કોઇપણ મુશ્કેલી હશે તો આરોગ્યમિત્ર મદદરૂપ બનશે. ટૂંકમાં દર્દી દાખલ ત્યારથી માંડીને સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી આરોગ્ય મિત્ર કાળજી રાખશે.આગામી એકાદ સપ્તાહથી સરકારી હોસ્પિટલોમાં આ સુવિધા અમલમાં આવશે.
આયુષ્યમાન કાર્ડધારક દર્દીની સારી સારવાર કરતી સરકારી હોસ્પિટલોને રાજ્યકક્ષા અને જિલ્લાકક્ષાએ પ્રોત્સાહિત ઇનામો આપવા પણ આરોગ્ય વિભાગે નક્કી કર્યુ છે જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલી યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટ ઉપરાંત ગર્વમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટયુટના ડાયરેક્ટર ડો. રાજેશ સોલંકીને મુખ્યમંત્રીના હસ્તે સન્મામિત કરાયા હતાં.
આ ઉપરાંત કલેઇમના 25 ટકા રકમ ડોક્ટરથી માંડીને નર્સિગ સહિતના સ્ટાફને પ્રોત્સાહિત રકમરૂપે આપવામાં આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોની જેમ સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો ઉત્સાહભેર કામ કરે તે માટે આખુય આયોજન કરાયુ છે. હવે આયુષ્યમાન કાર્ડ કુંટુંબ દીઠ નહી, પરિવારના સભ્યદીઠ આપવામાં આવે છે.