Letter to education minister: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા સ્વચ્છતાના કે અન્ય નાના કામ કરવા એ કેળવણીનો ભાગ ગણવવા માંગ
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૫ ડિસેમ્બરઃ Letter to education minister: રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની સાથે વિદ્યાર્થીઓ ક્યારેક શાળા સફાઈ તેમજ અન્ય નાના નાના કામ કરતા હોય , વિદ્યાર્થી ઓ પાસે મજૂરી કરાવાતી હોવાની વાલીઓ કે મીડિયા કાગારોળ મચાવે છે અને શાળાના આચાર્ય કે શિક્ષકોને હેરાન પરેશાન કરી મૂકે છે , વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ક્યારેક આવું નાનું – મોટું મહેનતનું કામ કરે તો એમાં ખોટું શું છે ?
આપણે શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકિયું જ્ઞાન પૂરતો સીમિત કરી દીધો છે . ગુરુકુલ પરંપરામાં આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે આશ્રમનું બધું જ કામ કરતા . રાજાનો દીકરો હોય તો પણ એણે મેદાન સાફ કરવાથી લઈને બધું જ કામ કરવું પડતું . ક્યારેય કોઈ રાજા ફરિયાદ લઈને ગુરુકુલમાં નહોતા જતા કે તમે અમારા બાળકો પાસે મજૂરી કેમ કરાવો છો ? હાલમાં ઉચ્ચ હોદા પર બિરાજમાન અને સરકારી શાળામાં અભ્યાસ કરનાર લગભગ બધાએ આવા કામ કર્યા હશે . તો શું એમાં આપણે મજૂર થઈ ગયા ? આવું કામ કરવાથી આપણી જિંદગી બરબાદ થઈ ગઈ ? આવું કામ કર્યું એમાં આપણું ભણવાનું બગડ્યું ? ઉલટાનું આવા કામો કરવાના લીધે આપણે સૌ ઘડાયા .
શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે શિક્ષકો ક્યારેક કોઈ શારીરિક મહેનતનું કામ લે તો એ બાળક માટે નુકસાનકારક નહીં લાભદાયક જ છે . બાળકના સર્વાંગી વિકાસ માટે એ બહુ જરૂરી છે . બાળકો પ્રાથમિક શાળામાંથી જ એ શીખીને જવા જોઈએ કે કોઈ કામ નાનું કે સામાન્ય નથી . બાળકોને ખાલી પુસ્તકોનું જ્ઞાન ભણાવ્યા કરીશું તો એ બીજું કશું જ નહીં શીખી શકે અને જીવનમાં ક્યારેક કોઈ વિકટ ઘડી આવે તો ટકી પણ નહીં શકે .
વિશ્વના વિકસિત દેશો એની નવી પેઢીને શારીરિક શ્રમનું મહત્વ શીખવાડે છે અને આપણે એને મજૂરી ગણીને શ્રમની વિમુખ રાખીએ છીએ . વિદેશમાં ઉધોગપતિના દીકરાને કે ઉચ્ચ અધિકારીની દીકરીને બીજાની હોટેલમાં વેઈટર તરીકે કામ કરવામાં પણ શરમ નથી આવતી કારણકે એને શ્રમ પ્રત્યે સુગ નથી . બાળકોનો સર્વાંગી વિકાસ માટે પુસ્તકના જ્ઞાન સાથે નાનપણથી શારીરિક શ્રમની પણ ટેવ પાડવી જોઈએ , શાળામાં ક્યારેક શારીરિક શ્રમ કરાવે તો એ જીવનશિક્ષણનો જ એક ભાગ છે જેના વગર ઘણું બધું અધૂરું રહી જાય છે .
વળી, શાળામાં નાના મોટા કામો કે સ્વચ્છતા માટેની પૂરતી ગ્રાન્ટ ન આવતી હોય બાળકો પાસે કામ કરાવવું પડતું હોય છે , શિક્ષકો પણ કામમાં સાથે જોડાયેલા હોય છે ત્યારે અવાર નવાર શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે કરાવતી સ્વચ્છતાના નામે શિક્ષકો આચાર્યો વિરુદ્ધ પગલાંઓ લેવામાં આવે છે, જો વિદ્યાર્થીઓ પાસે સ્વચ્છતા ન કરાવીએ તો શાળામાં સ્વચ્છતા જળવાતી નથી, અધિકારીઓ શાળાની મુલાકાતે આવે અને શાળામાં સ્વચ્છતા ન હોય તો નોટીસો મળે છે માટે શિક્ષકો આચાર્યો ચારે બાજુથી મુશ્કેલીઓ અનુભવે છે તો આ પરિસ્થિતિ અટકાવવા શાળામાં સફાઈ માટે સફાઈ કામદાર કે પટ્ટાવાળાની કાયમી નિમણુંક કરવા અથવા સ્વચ્છતા માટેની પૂરતી ગ્રાન્ટ આપી કે કેળવણીનો ભાગ ગણી શિક્ષકોનું સન્માન જળવાય તે હેતુસર યોગ્ય ઘટતું કરવા માંગ કરવામા આવી છે.