Governor visits border villages: રાજ્યપાલે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના પાંચ સરહદી ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો
Governor visits border villages: વિચારોની તાકાત ખૂબ જ વિશાળ છે નવા વિચારો નવા ભારતનું નિર્માણ કરવાનું સામર્થ્ય ધરાવે છે
ભુજ, 12 ફેબ્રુઆરીઃ Governor visits border villages: ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના છેલ્લા ગામો એવા રતનપર, અમરાપર, જનાણ, બાંભણકા અને ગણેશપુર જેવા સરહદી વિસ્તારના પાંચ ગામોની સૌ પ્રથમવાર મુલાકાત લઇ રાજ્યના રાજ્યપાલે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
સૌ પ્રથમવાર રાજ્યના રાજ્યપાલે સરહદી ગામોની મુલાકાત લેતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હરખની હેલી જોવા મળતી હતી.
આ પ્રસંગે રાજ્યપાલએ જનતા સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, સરહદી વિસ્તારના ગામડાઓએ છેવાડાના નહીં પરંતુ દેશના પ્રથમ ગામડાઓ છે, જ્યાંથી દેશની અને રાજ્યની શરૂઆત થાય છે. અને આ વિસ્તારના લોકો સૈનિકોની જેમ દેશની રક્ષા કરવામાં મહત્વનું યોગદાન આપે છે. આ વિસ્તારના ખેડૂતો બહેનો અને યુવાનો મહેનતુ મજબૂત હોય છે અને પોતાની રાહ જાતે જ પસંદ કરે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ સંસ્કૃતિ સાચા અર્થમાં જળવાઈ રહે છે તેમજ તેમાં આધુનિક વિચારધારા સંમિશ્રીત થતા વિકાસની અનેક નવી દિશાઓ ખુલી છે. ખડીર બેટના ધોળાવીરા નજીક આવેલા ભારત પાકિસ્તાન સરહદ પરના આ ગામડાઓમાં વિશ્વની સૌથી પ્રાચીન પરંપરાની જાળવણી આજની તારીખે પણ જીવંત છે. ધોળાવીરા અને ધોરડોને જોડતો એક નવો વિકાસ માર્ગ તૈયાર થઈ રહ્યો છે. ઘડુલી-સાંતલપુર માર્ગ તૈયાર થયા બાદ ટુરિઝમ, બિઝનેસ અને રોજગારી અનેક નવી તકોનું નિર્માણ થશે. આ માર્ગ ધોળાવીરા અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ઉન્નતિના શિખર પર પહોંચાડનાર સાબિત થશે તેમ રાજ્યપાલએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Bajrang dal locks up KFC shop: અમદાવાદમાં બજરંગ દળ દ્વારા KFCની દુકાનને તાળાબંધી- વાંચો શું છે મામલો?
આ તકે રાજ્યપાલએ યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, વિચારોની તાકાત ખૂબ જ મોટી છે. નવા વિચારો નવા ભારતનું નિર્માણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આત્મનિર્ભર ભારતનો વિચાર કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો વિચાર સાકાર થવા જઈ રહ્યો છે, તેમાં આપનું યોગદાન અમૂલ્ય રહેશે.
વિવિધ સખીમંડળની બહેનો સાથેના સંવાદમાં રાજ્યપાલએ કહ્યું હતું કે સ્વસ્થ, શિક્ષિત અને સુરક્ષિત સમાજના નિર્માણમાં મહિલાઓનું વિશેષ યોગદાન છે. તેમજ રોજગાર નિર્માણના જન આંદોલનમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોની સખીમંડળ વિશેષ યોગદાન આપી રહી છે જેના થકી ગ્રામ્ય સંસ્કૃતિઓ અને ગામડાઓ સમૃદ્ધ અને મજબુત બની રહ્યા છે.
ખડીર બેટના સરહદી વિસ્તારોના ગામડાઓમાં ખેતી અને પશુપાલન કરતા નાગરીકોને રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કર્યા હતાં અને પ્રાકૃતિક કૃષિ અપનાવીને ગામડાઓને સમૃદ્ધ કરવા એક નવી રાહ દેખાડી હતી.
આ તકે લેડી ગવર્નર દર્શના દેવી, જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ, અબડાસા પ્રાંત અધિકાર પ્રવિણસિંહ જૈતાવત, ભચાઉ પ્રાંત અધિકાર સંજય ચૌધરી સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.