Target of Gujarat Government: ગુજરાત સરકારનું લક્ષ્ય; 2022માં ગુજરાત બનશે 100% નલ સે જલનું રાજ્ય
ગાંધીનગર, 10 ફેબ્રુઆરી: Target of Gujarat Government: કેન્દ્ર સરકારના જલ જીવન મિશન દ્વારા ગુજરાતના ઘરોમાં નલ સે જલ (nal se Jal) અભિયાનને નવી ગતિ મળી છે. ગુજરાતના 4 જિલ્લાઓને ગયા મહિને એક જ સમયે 100% નલ સે જલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને આ રીતે કુલ મળીને ગુજરાતના 11 જિલ્લાઓને 100% નલ સે જલ જાહેર કરવામાં આવ્યા છે. જો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યના 91 ટકાથી વધુ ગ્રામીણ પરિવારોમાં ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન સ્થાપિત કરવામાં આવ્યા છે.
હાલના રીપોર્ટના આંકડા મુજબ ગુજરાત દેશના એવા રાજ્યોમાંનું એક છે જે ઝડપથી નળ દ્વારા ઘરે-ઘરે પાણી પહોચાડવાના કાર્યોનું અમલીકરણ કરી રહ્યું છે. વર્ષ 2022ના અંત સુધીમાં સુધીમાં ગુજરાતના દરેક ઘરને નળમાંથી પાણી મળી રહે તેવું ગુજરાત સરકારનું લક્ષ્ય છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં નળથી પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ ગુજરાત સરકારે લક્ષ્ય નક્કી કર્યું છે કે વર્ષ 2022ના અંત સુધીમાં સફળતાપૂર્વક થઇ રહેલી કામગીરી પ્રમાણે સમગ્ર ગુજરાતને 100% નલ સે જલ તરીકે જાહેર કરાશે.
આ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે કેટલાક જિલ્લાઓમાં દર મહિને 100% નલ સે જલ જાહેર કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે વર્ષ 2021-22ના વાર્ષિક એક્શન પ્લાનમાં એવું પણ જણાવ્યું છે કે તેઓ વર્ષ 2022માં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 10 લાખ નળ કનેક્શન આપશે.
ગુજરાતના 11 જિલ્લાઓમાં 100% નલ સે જલ (Nal se Jal)
Target of Gujarat Government: અત્યાર સુધીમાં ગુજરાતના 11 જિલ્લાઓને 100% નલ સે જલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બોટાદ, આણંદ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, વડોદરા, પાટણ, ગીર-સોમનાથ, જૂનાગઢ, મોરબી અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ થાય છે અને આ જિલ્લાઓમાં કુલ 104 તાલુકાઓ અને 13,178 ગામોને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારો 100%(ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન) FHTC કવરેજ સાથે જાહેર કરવામાં આવ્યા છે. તેમાંથી ગીર-સોમનાથ, જૂનાગઢ, મોરબી અને ડાંગ જિલ્લાઓને 26મી જાન્યુઆરી, 2022ના પ્રજાસત્તાક દિને 100% નલ સે જલ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. “કેન્દ્ર સરકારનો ‘નલ સે જલ’નો ટાર્ગેટ 2024 સુધીનો હતો, પરંતુ મને તમને જણાવતા ગર્વ થાય છે કે અમે લક્ષ્યાંક નક્કી કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં એટલે કે 2022માં જ ગુજરાતને 100% નલ સે જલ તરીકે જાહેર કરવામાં આવે.”
નલ સે જલના પ્રોજેક્ટને મળી ઝડપી મંજૂરી
વર્ષ 2019-20માં રાજ્ય સરકારે રૂ. 1842 કરોડના ખર્ચના 118 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જ્યારે વર્ષ 2020-21માં રાજ્ય સરકારે રૂ. 4576 કરોડના ખર્ચના 156 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. અને વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્ય સરકારે રૂ.4630 કરોડના ખર્ચના 90 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
15 ઓગસ્ટ, 2019ના રોજ જ્યારે જલ જીવન મિશનની જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતમાં માત્ર 65 લાખ 16 હજાર ઘરોમાં જ પીવાનું પાણી ઉપલબ્ધ હતું. હાલના સમયની વાત કરીએ તો 30 મહિનામાં 18 લાખ 66 હજારથી વધુ નવા કનેક્શન આપવામાં આવ્યા છે. ગુજરાત ના 18 હજાર 191 ગામોમાંથી 14 હજાર 43 ગામોમાં હવે કોઈ મહિલા કે બાળકોએ પાણી લેવા માટે ઘરની બહાર જવું પડતું નથી.
પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય
પાણી પુરવઠા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી 30 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય સ્તરની યોજનાઓના તમામ ઘટકોનો યોગ્ય ઉપયોગ કરી રહી છે. રાજ્યમાં વિવિધ પ્રકારના કામો, મેઈન્ટેનન્સની પ્રવૃતિઓ અને એસેટ હેલ્થનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. પાણી સલામત અને પીવાલાયક છે તેની ખાતરી કરવા માટે સમગ્ર ગુજરાતમાં 80 પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી છે જેમાંથી 40ને NABL માન્યતા પ્રાપ્ત છે.
ગુજરાતના છેવાડાના ગામોને મળ્યું પીવાનું શુધ્ધ પાણી
આઝાદી મળ્યા બાદ પણ ગુજરાતમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં મુશ્કેલી હતી. કચ્છના અબડાસા તાલુકાના કનકપુર ગામની મહિલાઓ આઝાદી મળ્યાના અનેક દાયકાઓ પછી પણ પાણીના સુખને પામવા સંઘર્ષ કરતી હતી. આજે કનકપુર ગામથી દૂર કનકાવતી નદીના કિનારે બોર બનાવીને ગામમાં પાણી લાવવામાં આવ્યા છે. ગામમાં પાણીના સંગ્રહ માટે ગામમાં 50,000 લિટર ક્ષમતાની ઉંચી ટાંકી બનાવવામાં આવી છે. ઘરે ઘરે પાણી પહોંચાડવા 5 કિમીની પાઈપલાઈન નાખવામાં આવી છે. અપુરતા પાણી, ક્ષારયુક્ત અને અનિયમિત પાણીની તકલીફો દૂર કરી નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડ્યું છે.
“અમારા ગામની અંદર પહેલા પાણીના મેળવવા માટે ઘણા પડકારો હતા. પહેલા પીવાના પાણી માટે માથે બેડલા લઈ તળાવમાં જવું પડતું હતું એજ તળાવમાં પશુઓ પણ પાણી પીતા હતા અને લોકો કપડાં પણ ધોતા હતા. જ્યારે દુષ્કાળ પડતો ત્યારે પાણીની બહું સમસ્યા હતી ગામમાં પીવા માટે, ગામમાં પીવા માટે બહારથી ટેન્કર મંગાવતા હતા. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ વાસ્મો ટીમએ આ ગામની અંદર સાથ અને સહકારથી બાજુની નદીમાં બોરવેલ કરીને ગામમાં ઉંચી ટાંકીની સગવડ કરી જેનાથી પીવાલાયક પુરતું પાણી મળ્યું. હર ઘર નલ સે જલ થકી દરેક હવે ગામમાં દરેક ઘરને પાણી મળી રહે છે.”
જો બીજી તરફ વાત કરીએ તો, દરિયાથી માત્ર 5 કિમીના અંતરે આવેલા કચ્છના શીણાય ગામમાં પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. તળમાં પાણી ખુબ ખરાબ પાણી હોવાના લીધે ગામના લોકોને દૂર-દૂરથી પીવાનું પાણી ભરીને લાવવું પડતું હતું અને પાણીની તંગી હતી. આ સમસ્યાના ઉકેલ માટે શીણાય ગામમાં પાણી સમિતિની રચના કરવામાં આવી. ગ્રામજનોના સહયોગ અને વાસ્મો ટીમના મારફતે આશરે 2500થી વધુની વસ્તી ધરાવતા શીણાય ગામની વર્ષો જુની પાણીની સમસ્યા સરકારે દૂર કરી અને ગામથી 9 કિ.મી દૂર બોર બનાવીને ઘરે-ઘરે પાણી પહોંચાડ્યું.
“કચ્છમાં આવેલા શીણાય ગામમાં લગભગ આજથી 30 કે 35 વર્ષ પહેલા ગામની દરેક બહેનો અને મેં પણ અનુભવ કર્યો છે કે અમે લગભગ એક કિ.મી કે દોઢ કિ.મીના અંતરે બેડા લઈ પાણી ભરવા જતા હતાં. સવારે લગભગ 4થી 5 વાગે ઉઠીને જે એમને આટલે દૂર જઈને પાણી માટે તકલીફ વેઠવી પડતી હતી એ હવે ઘણું જ સારુ છે. અને ઘરે પાણી આવવાથી બહેનો આર્થિક રીતે પગભર થઈ છે. પહેલા જે પાણી ભરવા માટે કેટલાય કલાકોનો સમય બગડતો હતો તે સમયનો ઘરકામ, બાળકોના અભ્યાસમાં અને રોજગારીના કામોમાં ઉપયોગ કરી મહિલાઓ આર્થિક રીતે પગભર બની રહી છે.”