Life goal: સુખ-સગવડો ભોગવવી માત્ર એ જ શું જીવનનું ધ્યેય છે ?

જીવનધ્યેય“(Life goal)

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-2

 ધર્મ ડેસ્ક, 19 ડિસેમ્બર: Life goal: પાયાનો પ્રશ્ન તો એ છે કે જીવનનું ધ્યેય શું છે ? ધન કમાવું, તેનો સંચય કરવો, સુખ-સગવડો ભોગવવી માત્ર એ જ શું જીવનનું ધ્યેય છે ? કે એથી પણ ઊંચેરું કોઈ ધ્યેય છે ?

આ મનુષ્ય-દેહ માત્ર એવા નિમ્ન ધ્યેયની પૂર્તિ માટે, માત્ર મોજ-મજા માટે નથી મળ્યો. ખાવું-પીવું-આળોટવું એ જ જો એક માત્ર ધ્યેય હોય તો મનુષ્ય-દેહ એ માટે નકામો છે.  ભગવાને મનુષ્યનું પેટ કેટલું નાનું બનાવ્યું છે ! બે, પાંચ, પચીસ રસગુલ્લાં ખાશે પછી તે કેટલુ ખાશે ? ખાવા માટે જ ભગવાને આપણને દેહ આપ્યો હોત તો કદાચ આપણને પેલા ડુક્કરનો દેહ આપ્યો હોત, જેથી ખાધા કરો અને આળોટ્યા કરો.

     પરંતુ ભગવાને આપણને એવો દેહ આપ્યો નથી. ભગવાને આપણને મનુષ્ય-દેહરૂપી આ સાધન આપ્યું છે તે કોઈ સુખ-સગવડ કે ઇન્દ્રિય-ભોગમાં જ વેડફી દેવા માટે નથી આપ્યું. આ તો બહુ જ સંવેદનશીલ અને ઉમદા સાધન છે અને તેથી તેને માત્ર મોજશોખમાં વેડફી ન દેવાય. સર્જનની છરી પેન્સિલ છોલવામાં ન વપરાય. કઈ વસ્તુનો કેવો ઉપયોગ કરવો એ વિવેક આપણામાં હોવો જોઈએ.

આપણે વિવેકપૂર્વક વિચારવું જોઈએ કે મનુષ્ય-જીવન શાને માટે પ્રાપ્ત થયું છે ? આ જે મનુષ્ય-દેહ ભગવાને આપ્યો છે તે શાને માટે આપ્યો છે ?

આ પણ વાંચો:-Mera dharm: મારો ધર્મ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

     ઉપનિષદ કહે છે: મનુષ્યદેહ એક રથ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો એ દેહરથના ઘોડા છે, બુદ્ધિ સારથિ છે અને મન લગામ છે. અહંકાર એ રથમાં બેઠેલો સ્વામી છે. ભગવાને મનુષ્ય-ઉપાધિરૂપી ઉત્કૃષ્ટ વાહન આપણને આપ્યું છે. વાહન ત્યારે જ આપવામાં આવ્યું હોય જ્યારે આપણે કોઈ ઠેકાણે પહોંચવાનું હોય, કોઈ ધ્યેય સિદ્ધ કરવાનું હોય. 

આમ, કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય સિદ્ધ કરવા માટે મનુષ્ય-ઉપાધિ પ્રાપ્ત થઈ છે. ઉત્કૃષ્ટ ધ્યેય હંમેશાં નજર સમક્ષ રાખવું આવશ્યક છે. એનાથી જે પ્રેરણા આપણને પ્રાપ્ત થાય તેના થકી. એક પ્રકારનું બળ પ્રાપ્ત થાય. આ બળ જેને પ્રાપ્ત થયું હોય તે જ નિમ્ન ધ્યેયનો, નિમ્ન જીવનનો ત્યાગ કરી શકે.

     તમે કહેશો કે ‘આવો ત્યાગ, જગતમાં ક્યાંય દેખાતો નથી. અહીં તો સર્વત્ર સ્પર્ધા જ થતી દેખાય છે !’

     હા, વાત સાચી છે. પરંતુ ઉત્કૃષ્ટ ધ્યેય પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારે આ બધી દેખાદેખીથી, આ બધી દોડથી દૂર રહેવું પડશે. શ્રેષ્ઠ પુરુષોનું આપણે અનુસરણ કરવું જોઈએ.  એવા આદર્શ શ્રેષ્ઠ પુરુષો વર્તમાન યુગમાં કદાચ પ્રત્યક્ષ હાજર ન પણ હોય. તેથી તેવા સમયે આપણે શ્રદ્ધા રાખવી પડે – શાસ્ત્રમાં અને આપણી જાતમાં. શાસ્ત્રો કહે છે 

‘सत्यमेव जयते नाऽनृतम्’ સત્યનો જ જય હંમેશાં થાય છે અને જૂઠાણાનો કદી પણ નહીં. સત્યથી દેવલોકની પ્રાપ્તિનો માર્ગ રચાતો હોય છે. શાસ્ત્રનાં આવાં મૂળભૂત વચનોમાં શ્રદ્ધાની આવશ્યકતા છે. ભલે રાવણની સેના બહુ જ મોટી હોય, બળવાન હોય, સુસજ્જ હોય, પરંતુ અંતે વિજય તો શ્રીરામનો જ થવાનો. આ માટે શ્રીરામ જેટલી પ્રબળતા કે સત્યતા હોવી જોઈએ. એ શક્તિ પણ સત્યમાંથી જ પ્રાપ્ત કરી શકીએ, જો આપણી સમક્ષ એવું ધ્યેય હોય તો.

    મહાત્મા ગાંધીજીનું ધ્યેય હતું સત્ય. પ્રત્યેકને તેના અધિકારના ગૌરવ પ્રમાણે જીવવાની તક મળવી જ જોઈએ અને તેમાં અન્યાય થતો હોય તો તેની સામે તેણે લડત આપવી જોઈએ. પરંતુ એ લડત પણ સત્ય અને અહિંસાના માર્ગે થવી જોઈએ, હિંસાના માર્ગે નહીં, એવું ગાંધીજી દૃઢપણે માનતા હતા, કારણ કે તેમને શાસ્ત્રના વચન ‘अहिंसा परमो धर्म:’, ‘અહિંસા જ પરમ ધર્મ છે’ ઉપર પરમ શ્રદ્ધા હતી. એમને વિશ્વાસ હતો કે અહિંસામાં એક એવું સૂક્ષ્મ આંતરિક બળ છે જેનાથી ભલભલી સ્થૂળ બાહ્ય તાકાતને આપણે માત કરી શકીએ. 

આ માટે આવશ્યક એવી સાધના, તપશ્ચર્યા અને શ્રદ્ધા આપણામાં હોય તો તેથી પ્રાપ્ત થતા બળ દ્વારા આપણે ઉત્કૃષ્ટ ધ્યેયના માર્ગે આગળ વધી શકીએ અને નિમ્ન જીવનને, મોજ-મજાના જીવનને ત્યાગી શકીએ.

Gujarati banner 01