108 air ambulance service: રાજકોટથી ૧૦૮ ની ઇમર્જન્સી એર એમ્બ્યુલન્સની સેવાનું પ્રથમ ઉડાન
108 air ambulance service: ૧૦૮ ની ઇમર્જન્સી સેવામાં એર એમ્બ્યુલન્સની સેવાનું ઉડાન : ગુજરાતમાં પ્રથમ રાજકોટના દર્દીને ચેન્નાઈ એરલિફ્ટ કરાયો
- 108 air ambulance service: ખાનગી એર એમ્બ્યુલન્સ કરતા સરળ, કિફાયતી અને એપ્રુવલ ઝડપી મળી રહે છે- એરપોર્ટ સુધી પહોંચવા દર્દીને નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ: પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર
રાજકોટ, 06 મે: 108 air ambulance service: રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ઈમરન્જસીમાં જરૂરિયાતમંદ દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવા GVK EMRI ના સહયોગથી ૧૦૮ સેવા કાર્યરત કરવામાં આવી છે. જેનો લાભ અનેક દર્દીઓને અત્યાર સુધીમાં મળ્યો છે.
ગત માસે રાજ્ય સરકાર દ્વારા ૧૦૮ સેવામાં હવાઈ સેવાને સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી હતી. આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જયકુમાર મકવાણા કે જેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી તેઓને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં.
રાજ્ય સરકાર દ્વાર શરુ કરાયેલી એર એબ્યુલન્સની વિશેષતા
રાજકોટ ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરના જણાવ્યા મુજબ આ એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જયારે અમદાવાદથી આવતી એર એબ્યુલન્સ ખુબ ઝડપી રીતે ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય.
એર એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધાઓ
૧૦૮ સેવા સાથે જોડાયેલી એર એમ્બ્યુલન્સમાં પણ ૧૦૮ વાનની જેમ સાધન સુવિધાથી સજ્જ હોઈ છે. એર એમ્બ્યુલન્સમાં એમ.બી.બી.એસ. ડોક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ હાજર હોઈ છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી મુજબ સાધનો અને દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે.
એર એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે પ્રક્રિયા
ચુક્યો છે આ સેવાનો લાભ કેવી રીતે લેવો તે અંગે મિલનભાઈ જણાવે છે કે, આ માટે સૌપ્રથમ ૧૦૮ માં કોલ કરવો પડે છે, કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલનસ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે, તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકે છે.
આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટ થી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટસુધી પહોંચવા માટે ૧૦૮ વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ હોવાનું ડાંગર જણાવે છે.
રાજ્ય સરકાર દ્વારા ૧૦૮ હવાઈ સેવા શરુ કરતા આવનાર સમયમાં ઈમરજન્સીમાં દેશના કોઈપણ છેડે કલાકોમાં દર્દીને સલામત રીતે સ્થળાંતરિત કરી શકાશે, જેનો પ્રારંભ રાજકોટના દર્દીથી થઈ.