ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર:પરેશ ધાનાણી
- ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર
- ખેતી, ખેડૂતો અને ભારતના આત્મા સમાન ગામડાને તોડવા માટે અને ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે.
- ભાજપના ખેડૂત વિરોધી સાત પગલાંથી ખેડૂત, ખેતી અને ગામડા વિનાશના આરે
- વર્ષ ૨૦૧૪માં કેન્દ્રની મોદી સરકારે કૃષિ ઉપજ, કૃષિ ઓજારો વગેરેને જીએસટીમાં આવરી લેતા ૬ વર્ષમાં માત્ર ગુજરાતના એકમો પાસેથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયા વસુલી લીધા.
- ૧૧ વર્ષમાં સરકારે કરેલ કૃષિ ઉત્પાદનોમાંથી કરેલ કર વસુલાત સામે કૃષિ બજેટ માત્ર રૂ. ૨૦.૬૩ કરોડ વધારે
ગાંધીનગર,૧૯ સપ્ટેમ્બર:કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતોના હિતના નામે ભ્રામક ભાષણો કરીને ખેતી, ખેડૂતો અને ભારતના આત્મા સમાન ગામડાને તોડવા માટે કામ કરી રહી હોવાની વિગતો સાથે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી કાયદા પર આકરા પ્રહાર કરતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં જ્યારથી ભાજપ સરકાર શાસનમાં આવી છે ત્યારથી જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરીને ખેડૂતોની જમીન હડપવા માટે ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓ માટે વ્યવસ્થા કરી આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ બિલમાં એકપણ જગ્યાએ મીનીમમ સપોર્ટ પ્રાઈઝ(MSP)નો ઉલ્લેખ નથી. જે ખેડૂતો માટે ગમે તેવી કઠીન પરિસ્થિતિમાં સુરક્ષા કવચ હતું તે હટાવી લેવામાં આવ્યું છે. દેશના ખેડૂતોને સરકારે સુરક્ષા આપવાને બદલે અદાણી-અંબાણીને સુરક્ષા આપી રહી છે. ખેડૂત અને ખેતી ખતમ થશે તો ખેતમજદૂર પણ ખતમ થશે તો કઈ રીતે હિન્દુસ્તાન બચશે ? દેશમાંથી હરિત ક્રાંતિને હટાવવા માટે ભાજપનું કાવતરું છે અને ત્રણ કાળા કાયદા જે ખેડૂત વિરોધી છે, દેશ વિરોધી છે. કોરોના મહામારી તેમજ આ ત્રણ કાયદા ખેતી અને ખેડૂતો માટે જાનલેવા સાબિત થઈ રહયા છે, ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું છે.
સરદાર સાહેબના નામે રાજનીતિ કરનાર ભાજપના ખેડૂત વિરોધી ખેડૂત, ખેતી અને ગામડા વિનાશના આરે ઘોળાઈ રહયા છે. ભાજપ સરકારના ખેડૂત વિરોધી પગલાં ઉજાગર કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ના સમયગાળામાં ભાજપ સરકારે કૃષિ ઉત્પાદન-ઉપજ પર ૫% વેરા વસુલ કરીને દર વર્ષે ૫,૦૦૦ કરોડ રૂપિયા એટલે કે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ઉઘરાવી લીધા. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રની મોદી સરકારે કૃષિ ઉપજ, કૃષિ ઓજારો વગેરેને જીએસટીમાં આવરી લેતા ૬ વર્ષમાં માત્ર ગુજરાતના એકમો પાસેથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયા વસુલી લીધા. મોંઘી વીજળી, મોંઘા બિયારણ, ખાતર, સિંચાઈના પાણી, જમીન પર વેરો અનેક પગલાંથી ગુજરાતનો ખેડૂત આર્થિક પરેશાનીનો વ્યાપક સામનો કરી રહયો છે. ખેતીના ઓજારો, ખેતીની જમીન પર વિવિધ કર વસુલાતની સાથે પાણી નિયમનના નામે ખેડૂતોને પોતાના ખેતરમાં બોર કરવા માટે કલેક્ટરની મંજૂરી જેવા પગલાંથી ખેડૂતો આજે બેહાલ બની ગયા છે. કોંગ્રેસ પક્ષે હંમેશા ખેડૂત અને ખેતીની ચિંતા કરી છે. ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્ય વળતર, સોઈલ ટેસ્ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા યોજના જેવા અનેકવિધ પગલાં ભર્યાં છે.
શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮-૦૯થી ૨૦૧૮-૧૯ સુધીમાં રાજ્યમાં કુલ કૃષિ ઉત્પાદન રૂ. ૯,૪૫,૦૨૮ કરોડનું થયું હતું, જેની સામે રાજ્ય સરકારે આ કૃષિ ઉત્પાદન પર વેટ અને જીએસટી પેટે અંદાજીત રૂ. ૪૭,૨૫૧.૪૦ કરોડની કર વસુલાત કરેલ, જેની સામે કૃષિ વિભાગના બજેટમાં રૂ. ૪૭,૨૭૨.૦૩ કરોડની જોગવાઈ કરેલ હતી. એટલે કર વસુલાતની સામે કૃષિ બજેટ માત્ર રૂ. ૨૦.૬૩ કરોડ વધારે ફાળવેલ છે.
રાજ્ય સરકાર ખેડૂતોના નામે જુદી-જુદી યોજનાઓ બનાવી રાહત પેકેજ જાહેર કરે છે, પરંતુ કૃષિ ઉત્પાદનોમાંથી વસુલવામાં આવતી કર જેટલી રકમ પણ ખેતી-ખેડૂતોના વિકાસ માટે ફાળવવામાં આવતી નથી. ખેડૂતો અને સહાયના નામે ખાનગી વીમા કંપનીઓ નફો રળી ખાય છે. ખેડૂતો માટે રાજ્ય સરકારના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે.
ભારતના ભાગ્યવિધાતા, જગતના તાત એવા ખેડૂતો અને ખેતીને બહુમતીવાળી ક્રુર ભાજપ સરકાર બરબાદ કરીને મુઠ્ઠીભર મુડીપતિ દોસ્તોના સપના સાકાર કરી રહી છે. દેશના ૬૨ કરોડ ખેડૂત-ખેતમજદુર અને ગુજરાતના ૨ કરોડથી વધુ ખેડૂત-ખેતમજદુરને આ બાબત સીધી અસરકર્તા છે. કોંગ્રેસ સરકારે દેશના ખેડૂતો-ખેતીને બચાવવા માટે જમીન સંપાદન અને યોગ્ય વળતર કાયદો બનાવ્યો. ભાજપ સરકારે કેન્દ્રમાં આવતાંની સાથે જ ત્રણ-ત્રણ વટહુકમ લાવીને ખેડૂતોને અન્યાય કર્યો. ફરી એક વખત ખેડૂતોના જીવન નિર્વાહના અંત માટે ત્રણ કાળા કાયદા લાવી છે.
(૧) ખેતપેદાશ ખરીદ વ્યવસ્થા(APMC)ને ખતમ કરી, જેમાં ખેડૂતોને ‘ન્યુનતમ સમર્થન મૂલ્ય’ (MSP) મળશે નહીં અને બજારના યોગ્ય ભાવ પણ નહીં મળે.
(૨) દેશના ખેડૂતો પોતાની ઉપજ દેશમાં કોઈપણ જગ્યાએ વેચાણ કરી શકે છે. કૃષિ સેન્સસ ૨૦૧૫-૧૬ મુજબ દેશના ૮૬% ખેડૂતો ૫ (પાંચ) એકરથી ઓછી જમીનના માલિક છે, જેઓ પોતાના નજીકમાં ખેતપેદાશ વેચાણ કરે છે. એપીએમસી ખતમ થવાથી ખેડૂતો-ખેતી અને સબ્જી મંડીમાં કામ કરનાર લાખો મજૂરો અને અન્ય લોકોની આજીવિકા છીનવાઈ જશે.
(૩) APMCની વ્યવસ્થા ખતમ થવાથી અનાજ-સબ્જી મંડીમાં કામ કરવાવાળા મજુરો, કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટરો, છૂટક વેચાણકર્તાઓની રોજી-રોટી છીનવાઈ જશે.
(૪) ખેડૂતોને ખેતરની નજીક યોગ્ય ભાવ નજીકના ખરીદદારોથી મળતા હતા અને યોગ્ય ભાવ ન મળે તો સરકારના સુરક્ષા કવચ MSPથી મળતા હતા, જે બંધ થઈ જશે.
(૫) APMC ખતમ થવાથી જે-તે રાજ્યોની આવક પણ ખતમ થશે. સ્થાનિક વિકાસના નાણાં માટે મળતી આવક અટકી જશે.
(૬) કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે ‘વટહુકમ’ના બહાના હેઠળ મોદી સરકાર ‘શાંતાકુમાર કમિટી’નો રિપોર્ટ લાગુ કરીને ‘ન્યુનતમ સમર્થન મૂલ્ય’ (MSP) ખરીદી બંધ કરીને વર્ષે ૮૦,૦૦૦થી ૧ લાખ કરોડ રૂપિયા બચાવવા માંગે છે.
(૭) કેન્દ્ર સરકારના વટહુકમથી ખેડૂત જમીનના માલિકમાંથી ખેતમજદુર બની જશે. મોટી મોટી કંપની કોન્ટ્રાક્ટ ફાર્મના નામે ખેડૂતોની જમીન પર કબજો કરશે.
(૮) કૃષિ ઉત્પાદન, ખાદ્યાન્ન, ફળ-ફૂલોની સ્ટોક લીમીટ હટાવી દેવાથી ખેડૂતો અને સામાન્ય-મધ્યમવર્ગને કોઈ ફાયદો નહિ મળે પણ મુઠ્ઠીભર કાળાબજારી-સંગ્રહાખોરોને ફાયદો થશે.
દેશમાં વર્ષ ૨૦૧૫માં તુવેરની દાળ સંગ્રહાખોરો-કાળાબજારીયાઓ અને સરકારના છુપા આશીર્વાદથી ૨૦૦ રૂપિયે કિલો થઈ ગયેલ, જે અંદાજે રૂ. ૫ લાખ કરોડ જેટલું કૌભાંડ હતું.
ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવા ભાજપ સરકારના ત્રણ વટહુકમ-કાળા કાયદાથી ખેતી, ખેડૂતો મજબુર અને મજદુર બની જશે. ખેતી, ખેડૂતો અને દેશહિતમાં કાળા કાયદાને પરત ખેંચવા વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ માંગ કરી છે.
ક્રમ | વર્ષ | કૃષિ ઉત્પાદન(રૂ. કરોડમાં) | વેટ+જીએસટી ૫%અંદાજીત કર વસુલાત(રૂ. કરોડમાં) | કૃષિ બજેટ(રૂ. કરોડમાં) |
૧ | ૨૦૦૮-૦૯ | ૩૩૯૨૦ | ૧૬૯૬.૦૦ | ૧૮૪૯.૩૬ |
૨ | ૨૦૦૯-૧૦ | ૩૩૫૪૪ | ૧૬૭૭.૨૦ | ૨૩૪૦.૭૦ |
૩ | ૨૦૧૦-૧૧ | ૪૨૦૯૮ | ૨૧૦૪.૯૦ | ૨૭૩૭.૨૧ |
૪ | ૨૦૧૧-૧૨ | ૯૮૦૧૫ | ૪૯૦૦.૭૫ | ૨૯૦૮.૬૩ |
૫ | ૨૦૧૨-૧૩ | ૮૨૩૧૭ | ૪૧૧૫.૮૫ | ૩૮૯૩.૨૫ |
૬ | ૨૦૧૩-૧૪ | ૧૦૭૪૮૩ | ૫૩૭૪.૧૫ | ૩૯૫૭.૮૯ |
૭ | ૨૦૧૪-૧૫ | ૧૦૬૩૫૯ | ૫૩૧૭.૯૫ | ૪૦૬૮.૭૭ |
૮ | ૨૦૧૫-૧૬ | ૧૦૦૯૩૦ | ૫૦૪૬.૫૦ | ૪૩૧૩.૦૦ |
૯ | ૨૦૧૬-૧૭ | ૧૧૧૦૦૮ | ૫૫૫૦.૪૦ | ૫૦૩૫.૨૦ |
૧૦ | ૨૦૧૭-૧૮ | ૧૨૪૪૫૬ | ૬૨૨૨.૮૦ | ૭૮૦૧.૫૧ |
૧૧ | ૨૦૧૮-૧૯ | ૧૦૪૮૯૮ | ૫૨૪૪.૯૦ | ૮૩૬૬.૫૧ |
કુલ | ૯૪૫૦૨૮ | ૪૭૨૫૧.૪ | ૪૭૨૭૨.૦૩ |