ભારત સાથે સંબંધ સુધારવા ઇચ્છે છે પાકિસ્તાન(Pakistan), પાકનેતાએ આપ્યુ આ નિવેદન- વાંચો વિગતે શું કહ્યું..
નવી દિલ્હી, 24 માર્ચઃ દુનિયા બધા દેશો જાણે છે કે ભારત અને પાકિસ્તાન(Pakistan) વચ્ચે સતત અણબનાવ રહ્યાં કરે છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃતિના કારણે ભારત-પાકના સંબંધ બગડી ગયા છે. તાજેતરમાં જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવા બાદ હવે પાક ઉચ્ચાયોગના વરિષ્ઠ રાજનયિક આફતાબ હસન ખાને પણ ભારત સાથે સંબંધ સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આફતાબે કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ. બંને દેશોએ તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ.
પાકિસ્તાન ઉચ્ચાયોગમાં પાકિસ્તાન(Pakistan) દિવસ સમારોહના અવસરે મિશનના પ્રમુખ આફતાબ હસન ખાને કહ્યું કે બંને દેશોએ યુદ્ધ વિશે વિચારવાની જગ્યાએ પોતાના દેશની ગરીબી અને નિરક્ષરતાને મીટાવવા માટે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન, ભારત સહિત પોતાના પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છે છે અને તે શાંતિ થાય તો જ શક્ય છે. આપણે તકરારની જગ્યાએ મેળ બેસાડીને તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ.
જો કે આફતાબ હસન ખાન કાશ્મીર રાગ આલાપવાનો પણ ન ભૂલ્યા. તેમણે કહ્યું કે સતત શાંતિ અને સ્થિરતા માટે જરૂરી છે કે આપણે વાતચીત દ્વારા દ્વિપક્ષીય મુદ્દાઓનો ઉકેલ લાવીએ. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મુદ્દાને, જે ખુબ જરૂરી પણ છે અને છેલ્લા 70 વર્ષથી પેન્ડિંગ છે. પાકિસ્તાની રાજનયિકનું આ નિવેદન દર્શાવે છે કે ઈમરાન ખાન સરકાર ભારત સાથે સંબંધ સારા રાખવા માટે આતુર છે. આ અગાઉ પણ અનેક અવસરે પાકિસ્તાની નેતા આ વિષયમાં નિવેદનો આપી ચૂક્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનના તેવરમાં નરમી જોવા મળી છે. આ નરમીને કોઈ મોટા ફેરફારના સંકેત તરીકે પણ જોવાઈ રહી છે. ગત મહિને ભારત અને પાકિસ્તાનના સૈન્ય પ્રમુખોએ 2003ના સંઘર્ષવિરામ કરારની બહાલી કરવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત ઈમરાન ખાનના શ્રીલંકાના પ્રવાસ માટે ભારતે પોતાની વાયુ સરહદ ખુલ્લી મૂકી હતી અને ઈમરાન ખાન કોરોના સંક્રમિત થયા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જલદી સાજા થવાની પણ કામના કરી જે દર્શાવે છે કે બંને દેશ સંબંધ સુધારવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ ઘણું બધુ ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં કઈક મોટા પગલાંની જાહેરાત થઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બંને દેશોના સંબંધો પાટા પર લાવવા માટે સંયુક્ત આરબ અમીરાત મધ્યસ્થતાની ભૂમિકા ભજવી રહ્યું છે. બંને દેશો વચ્ચે કારોબાર પહેલાની જેમ શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો…