સૂર્યનારાયણનો મકર રાશિમાં પ્રવેશઃ મકર સંક્રાંતિ સાથે જોડાયેલી કથા, આજના દિવસે જ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણનો કર્યો હતો ત્યાગ
જ્યોતિષ ડેસ્ક, 14 જાન્યુઆરીઃ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનને જ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. તે પછી સૂર્ય ઉત્તરાયણ પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રી મુજબ, એક વર્ષમાં સૂર્યની બે સ્થિતિ રહે છે દક્ષિણાયણ અને ઉત્તરાયણ. ઉત્તરાયણમાં દિવસ મોટા થવા લાગે છે અને રાત નાની થવા લાગે છે. દક્ષિણાયણમાં દિવસ નાના અને રાત મોટી થઇ જાય છે. મકર સંક્રાંતિ પછી જ ઠંડીની અસર ઘટવા લાગે છે.
જ્યોતિષ અનુસાર, ઉત્તરાયણથી દેવતાઓનો દિવસ શરૂ થઇ જાય છે. સૂર્યના દક્ષિણાયણની સ્થિતિ દેવતાઓ માટે રાતનો સમય માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. કાળા તલનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.
મકર સંક્રાંતિએ તલ-ગોળ ખાવાનો રિવાજ
આ બે ઋતુઓના સંધિકાળનો સમય છે. હેમંત ઋતુ જઇ રહી છે અને શિશિર ઋતુ શરૂ થઇ રહી છે. જેના કારણે સિઝનલ બીમારીઓની અસર વધવા લાગે છે. આ દિવસોમાં તલ-ગોળનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાયેલી રહે છે. સિઝનલ બીમારીઓની અસર ઘટી જાય છે.
ભીષ્મ પિતામહ સાથે જોડાયેલી કથાઃ
મહાભારતમાં ભીષ્મ પિતામહ કૌરવ સેનાના સેનાપતિ હતાં. યુદ્ધમાં પાંડવો માટે ભીષ્મ પિતામહને કાબૂ કરવા મુશ્કેલ બની રહ્યા હતાં. તેઓ સતત પાંડવ સેનાને ખતમ કરી રહ્યા હતાં. જ્યારે પાંડવોને થયું કે તેઓ કોઇપણ પ્રકારે પિતામહને પરાજિત કરી શકશે નહીં ત્યારે તેમણે ભીષ્મને જ તેનો ઉપાય પૂછ્યો. ત્યારે ભીષ્મ પિતામહે જણાવ્યું કે તમારી સેનામાં જે શિખંડી છે, તે પહેલાં એક સ્ત્રી હતો, પછી પુરૂષ બન્યો છે.
અર્જુન શિખંડીને આગળ રાખીને મારી ઉપર બાણનો પ્રહાર કરશો તો હું બાણ ચલાવી શકીશ નહીં, કેમ કે હું સ્ત્રીઓ ઉપર પ્રહાર કરતો નથી. અર્જુને ભીષ્મ દ્વારા જણાવેલી યોજના પ્રમાણે શિખંડીને આગળ કરીને બાણ ચલાવ્યાં અને પિતામહને ઘાયલ કરી દીધા. ઇચ્છામૃત્યુના વરદાનથી ભીષ્મ બાણ વાગ્યા પછી પણ સૂર્ય ઉત્તરાયણ થાય ત્યાં સુધી જીવિત રહ્યા હતાં. મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી જ્યારે ઉત્તરાયણનો દિવસ આવ્યો ત્યારે પિતામહે દેહ છોડી દીધો હતો.
આ પણ વાંચો…
સૌને મકરસંક્રાતિની શુભેચ્છાઓઃ આજના દિવસે આ વસ્તુઓનું દાન કરો, મેળવો અનેક ઘણુ પુણ્ય