વડોદરાઃ સિંઘાનીયા હોસ્પિટલ ખાતે ચુસ્ત કોવીડ તકેદારી હેઠળ એકસાથે ચાર બાળકોની મૂકબધિરતાનું નિવારણ કરવા કોકલિયર ઇમ્પ્લાંટ સર્જરી કરવામાં આવી
વડોદરા, 14 જાન્યુઆરીઃ બાળ જન્મ એ પરિવાર માટે વધામણી નો પ્રસંગ છે.પરંતુ સમય જતાં જ્યારે એવી ખબર પડે કે બાળક બહેરૂમુંગુ છે ત્યારે માતાપિતા અને પરિવારની ખુશીમાં ઓટ આવે છે અને તેના ભવિષ્ય માટે ચિંતા જાગે છે.તબીબી વિજ્ઞાને હવે કોકલીયર ઈમ્પ્લાંટ શસ્ત્રક્રિયા દ્વારા જન્મજાત મૂકબધિરતા નો ઈલાજ શોધ્યો છે.આ ખૂબ જટિલ અને મોંઘી સર્જરી હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના માતાપિતા તેમના મૂકબધિર બાળકને બોલતો અને સાંભળતો કરવા તે સામાન્ય રીતે ન કરાવી શકે.
આ મજબુરીનું નિવારણ કરવા ભારત સરકારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માધ્યમથી અમલમાં મૂકેલા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આ સર્જરી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.શહેરની સિંઘાનિયા ઇ.એન.ટી.હોસ્પિટલે ઉપરોક્ત કાર્યક્રમના સહયોગી તરીકે વડોદરામાં આ સર્જરી શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ૨૬ જેટલાં જન્મજાત મૂકબધિર બાળકોની ખામીનું નિવારણ કરીને મૂકમ કરોતિ વાચાલમનું સૂત્ર સાર્થક કર્યું છે.
અમે આ સર્જરીની શરૂઆત કરી તે પહેલા જરૂરિયાતમંદ બાળકોની સર્જરી માટે માતાપિતાને સુરત કે અમદાવાદ સુધી લાંબા થવું પડતું એવી જાણકારી આપતાં ડો.(પ્રો.)અંકિત સિંઘાનિયાએ જણાવ્યું કે કોવીડની મહામારીને લીધે બધે આ સર્જરી અટકી ગઈ હતી.વડોદરાના ચાર મૂકબધિર બાળકો તેની રાહ જોતાં હતાં.હાલમાં કોરોનની પરિસ્થિતિ થોડી હળવી બની છે તેને અનુલક્ષીને શસ્ત્રક્રિયા ખંડ અને હોસ્પિટલમાં જરૂરી કોવીડ તકેદારીઓને ચુસ્તપણે અનુસરીને તાજેતરમાં એક સાથે આ ચાર બાળકોની વિનામૂલ્યે શસ્ત્રક્રિયા ઉપરોક્ત કાર્યક્રમ હેઠળ કરી છે. ગુજરાતમાં એક માત્ર વડોદરાની આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં બે વાર એક સાથે ચાર બાળકોનું કોક્લિયર ઇમ્પલાંટ કરવામાં આવ્યું એ નોંધપાત્ર ઘટના છે.
જિલ્લા અને મહાનગર પાલિકા આરોગ્ય તંત્રનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ મૂકબધિર બાળકોની સર્જરી અને સ્પીચ થેરાપી સહિત રિહેબિલિટેસનમાં ખૂબ પ્રોત્સાહક સહયોગ મળે છે એવી લાગણી વ્યક્ત કરતાં ડો.અંકિતે જણાવ્યું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવત એ જરૂરી એસેસમેન્ટ કેમ્પ યોજી આવા બાળકોને તારવવા અને સર્જરીનો લાભ આપવાનું પ્રેરક પ્રોત્સાહન આપ્યું હતું અને અને જિલ્લા આરોગ્ય તંત્રે તેના અમલમાં ઘણો ઉમદા સહયોગ અને પીઠબળ આપ્યું છે.
ખાનગી હોસ્પિટલમાં જેના માટે રૂ.૮ થી ૧૦ લાખનો ખર્ચ કરવો પડે તેવી આ સર્જરી અને તેના પછી જરૂરી સ્પીચ થેરાપી ભારત સરકારના ઉપરોક્ત કાર્યક્રમ હેઠળ અમારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે.જરૂરિયાતમંદ માતાપિતા તેનો લાભ લેવા માટે મહાનગર પાલિકા કે જિલ્લા આરોગ્ય તંત્રનો સંપર્ક કરીને પોતાના મુકબધિર સંતાનને વાણી અને શ્રવણ શક્તિની અણમોલ ભેટ આપી શકે છે.આ સર્જરી જન્મજાત મૂકબધિરતાના કિસ્સામાં ૧ થી ૫ વર્ષની વયમર્યાદામાં કરાવી લેવી જોઈએ.
આ પણ વાંચો…