Sagar Dhankar Murder Case: રેસલર સુશીલ કુમારની મુશ્કેલીમાં વધારો, જેલમાંથી બહાર આવવું થયું અઘરું- વાંચો શું છે મામલો?
Sagar Dhankar Murder Case: હાલ સુશીલ કુમાર હત્યાકાંડ સાથે જોડાયેલા અન્ય આરોપીની સાથે તિહાડ જેલમાં બંધ
નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃ Sagar Dhankar Murder Case: સાગર ધનખડ હત્યાકાંડ કેસમાં દિલ્હીની એક કોર્ટે રેસલર અને બે વખતના ઓલિમ્પિક વિજેતા સુશીલ કુમાર પર આરોપ ઘડ્યા છે. સુશીલ કુમારની સાથે-સાથે 17 અન્ય લોકો પર પણ આરોપ ઘડવામાં આવ્યા છે. દિલ્હીની રોહિણી કોર્ટે સુશીલ કુમાર સહિત 18 લોકો પર હત્યા, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર રીતે ભીડ ભેગી કરવાની સાથે અન્ય કલમો હેટળ ગુનાહિત ષડયંત્ર રચવાના આરોપ ઘડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોર્ટે આ કેસમાં ફરાર ચાલી રહેલા 2 આરોપીઓ વિરુદ્ધ પણ આરોપ નક્કી કર્યાં છે. વર્ષ 2021માં 4-5 મેની રાત્રે સુશીલ કુમાર પોતાના કેટલાક સાથીઓની સાથે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ પહોંચે છે અને યુવા રેસલર સાગર ધનખડ સાથે મારપીટ કરે છે. આ ઘટનામાં સાગરને ગંભીર ઈજા પહોંચે છે અને બાદમાં તેનું મોત થઈ જાય છે.
ઘટના બાદ સુશીલ કુમાર ફરાર થઈ જાય છે અને 17 દિવસ બાદ તેની ધરપકડ થાય છે. દિલ્ગીની સ્પેશિયલ સેલની ટીમ સુશીલ કુમાર અને અન્ય લોકોની ધરપકડ કરે છે. હાલ સુશીલ કુમાર હત્યાકાંડ સાથે જોડાયેલા અન્ય આરોપીની સાથે તિહાડ જેલમાં બંધ છે.
નોંધનીય છે કે, સાગર ધનખડ હત્યાકાંડમાં દિલ્હી પોલીસે સુશીલ કુમાર સહિત 20 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાં બે આરોપી ફરાર છે, જ્યારે 18ની ધરપકડ કરી લેવામાં આવી હતી. ફરાર આરોપીઓને પોલીસ હજુ શોધી રહી છે.