વેક્સિનને લઇ સરકારે જાહેર કરી ગાઇડલાઇનઃ કોણ રસી લેશે અને કોણ નહીં લઇ શકે તેની વિગતે આપી જાણકારી
નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ આવતી કાલે એટલે કે 16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કોરોના વાયરસના વેક્સિનેશન અભિયાન પહેલા સરકારે તેને લઇને ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં કોણ રસી નહી લઇ શકે તેનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ રસી નહી આપવામાં આવે. આ ઉપરાંત ૧૮ વરસથી ઉપરના પુખ્ત ઉંમરના લોકોને જ કોરોનાની રસી આપવામાં આવશે.
જરૂરીયાત પડવા પર કોરોનાની રસી અને અન્ય કોઇ રસી વચ્ચે ઓછામાં ઓછો ૧૪ દિવસનો સમયગાળો રાખી શકાય છે.આ ઉપરાંત બંને ડોઝ એક જ રસીના એટલે કે પહેલો ડોઝ કોવેક્સિન કે કોવિશીલ્ડનો લીધો હોય તેનો જ બીજો ડોઝ લેવાનો રહેશે. સરકારે આપેલી ગાઇડલાઇનમા કોવેક્સિન અને કોવિશીલ્ડ રસીની પણ માહિતી અપાઇ છે. જેમાં કોવિશીલ્ડની એક શીશીમાં ૧૦ ડોઝનો સમાવેશ થાય છે. એક ડોઝ પાંચ મિલીનો રહેશે. બે ડોઝ ચાર સપ્તાહના અંતરે આપવાના રહેશે. કોવિશીલ્ડ રસીને બેથી આઠ ડિગ્રી તાપમાને સંગ્રહ કરવાની રહેશે.રસી જામી જાય છે કે તેનામાં કોઇ પરિવર્તન આવે તો તેનો ઉપયોગ કરવાનો નહી રહે.
દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે.. કોરોનાને હરાવવાની અંતિમ લડાઇ માટે કોરાના વેક્સિનની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે સવારે 10-30 વાગ્યે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરાવશે.. નીતિ આયોગના સદસ્ય વીકે પોલે એરપોર્ટ પર એક જીનોમ સિકવન્સ લેબની ઉદ્ધઘાટન પ્રસંગે કહ્યું કે કોરોના વેક્સિનની પ્રક્રિયા આવતીકાલે શરૂ થશે. ત્રણ હજાર કેન્દ્રો પરથી રસીકરણનો પ્રારંભ થશે અને તબક્કાવાર રીતે પાંચ હજાર કેન્દ્રોમાંથી રસી અપાશે.
નોંધનીય છે કે, આવતીકાલથી શરૂ થનારા રસીકરણના પહેલા તબક્કામાં ત્રણ કરોડ આરોગ્ય કર્મી અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપાશે. ત્યાર બાદ બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી નાના ગંભીર બીમારી ધરાવતા લોકોને અપાશે. અને ત્યાર બાદ ત્રીજા તબક્કામાં અન્યો લોકોને રસી અપાશે.
આ પણ વાંચો…
ઈન્ડોનેશિયામાં આવ્યો 6.2ની તિવ્રતાનો ભૂકંપઃ 7ના મોત નિપજ્યા, 100થી વધુ લોકો ઘાયલ થયા