Governor Shaktikanta Das: વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોમાં નવી ઊર્જાનું સિંચન કરશે: ગવર્નર શક્તિકાંત દાસ
Governor Shaktikanta Das: ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેવબને ભાવાંજલી અર્પી.
રાજપીપલા, 17 ડિસેમ્બર: Governor Shaktikanta Das: ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ એ આજરોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાંથી સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળીને ભવ્યતા અનુભવી હતી. ગવર્નર દાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૫ માળની ઉંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉપસેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન સહિત સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ નિહાળ્યા બાદ નોંધપોથીમાં પોતાના પ્રતિભાવોમાં ગવર્નર દાસે જણાવ્યું હતું કે, મને અહી આવવાની સુવર્ણ તક મળી, હું ભાગ્યશાળી છું, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત વિશ્વની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોને પ્રેરિત અને એકત્રિત કરશે. યુવાનોમાં નવી ઊર્જા અને ઉત્સાહનું સિંચન કરશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ગાઈડએ જુબીન ગમીરે ગવર્નરને (Governor Shaktikanta Das) સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ અને વિશેષતાની ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન ઇક્યમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયા તરફથી ગવર્નરશ્રીને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કરાઈ હતી. તદઉપરાંત ગવર્નર દાસે સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. જ્યાં, તેઓએ ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર આર. એન. રાવલ પાસેથી ડેમ સાઇટની ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન ઇક્યમન સત્તામંડળના નાયબ કલેકટર સર્વ દર્શક વિઠલાણી, શિવમ બારીયા અને નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ સહિતના અધિકારીઓ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.