India-Bangladesh sign MoUs: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતની મુલાકાતે, બંને દેશો વચ્ચે થયા મહત્વના કરાર
India-Bangladesh sign MoUs: બંને દેશોએ આઈટી, અંતરિક્ષ, અને ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહયોગ વધારવાનું નક્કી કર્યું
નવી દિલ્હી, 06 સપ્ટેમ્બરઃIndia-Bangladesh sign MoUs: આજે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બંને દેશોએ આઈટી, અંતરિક્ષ, અને ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહયોગ વધારવાનું નક્કી કર્યું. અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ચાર દિવસના ભારત પ્રવાસે છે.
પીએમ નરેન્દ્ર મોદીની અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે મુલાકાત બાદ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ ઈશ્યું કરવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે આજે બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વિકાસ ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં આપણું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. લોકો વચ્ચે સહયોગમાં સતત સુધારો થઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે આઈટી, અંતરિક્ષ, ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો. તેમણે વધુમાં કહ્યું કે ગત વર્ષ અમે બાંગ્લાદેશની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ, અમારા ડિપ્લોમેટિક સંબંધોની સુવર્ણ જયંતી, શેખ મુજીબુર્રહમાનની જન્મ શતાબ્દી એક સાથે ઉજવી હતી. મને વિશ્વાસ છે કે આગામી 25 વર્ષના અમૃત કાળમાં ભારત-બાંગ્લાદેશની મિત્રતા નવી ઊંચાઈએ સ્પર્શશે.
પીએમ મોદીએ કહ્યું કે આજે અમે કુશિયારા નદીથી જળ વહેંચણી પર એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી ભારતમાં દક્ષિણ અસમ અને બાંગ્લાદેશમાં સિલહટ ક્ષેત્રને લાભ થશે. એવી 54 નદીઓ છે જે ભારત-બાંગ્લાદેશ સરહદેથી પસાર થાય છે અને સદીઓથી બંને દેશોના લોકોની આજીવિકા સાથે જોડાયેલી છે. આ નદીઓ તેમના વિશે લોકવાર્તાઓ, લોકગીત, અમારા સંયુક્ત સાંસ્કૃતિક વારસાના પણ સાક્ષી રહ્યા છે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું કે આગામી 25 વર્ષો માટે અમૃત કાળની શુભકામનાઓ આપું છું, કારણ કે ભારત આત્મનિર્ભર ભારત માટે કરાયેલા પ્રસ્તાવોને પ્રાપ્ત કરવા તરફ અગ્રેસર છે. હું ભારત લગભગ 3 વર્ષ બાદ આવી રહી છું, હું ભારતનો આભાર માનું છું અને અમારી વચ્ચે આગળ એક સકારાત્મક પ્રસ્તાવોની અપેક્ષા કરું છું.