Mahashivratri: 1લી માર્ચે 6 રાજયોગમાં મહાશિવરાત્રિ ઊજવાશે, વાંચો શિવપૂજાની સરળ મંત્ર-વિધિ
Mahashivratri: શિવરાત્રીના દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી
ધર્મ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Mahashivratri: કાલે શિવપૂજાનું મહાપર્વ એટલે શિવરાત્રિ છે. પંચાંગ પ્રમાણે, આ દિવસે મહા મહિનાના વદ પક્ષની ચૌદશનો હોય છે. એ આ વખતે 1 માર્ચના રોજ છે. શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિએ શિવલિંગ સાથે જ સૃષ્ટિ શરૂ થઈ હતી. આ દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી હતી. ત્યારથી જ દરેક યુગમાં આ તિથિએ ભગવાન શિવની મહાપૂજા અને વ્રત-ઉપવાસ કરવાની પરંપરા ચાલી રહી છે. આ પર્વમાં આખો દિવસ શિવપૂજા કરવામાં આવે છે, પરંતુ ગ્રંથોમાં રાતે પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. આ પર્વ સાથે જોડાયેલી માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન શિવ-પાર્વતીના લગ્ન થયાં હતાં.
દુર્લભ ગ્રહ સ્થિતિ અને પાંચ રાજયોગ
જ્યોતિષ મુજબ મહાશિવરાત્રિએ શિવ યોગ બની રહ્યો છે. સાથે જ શંખ, પર્વત, હર્ષ, દીર્ઘાયુ અને ભાગ્ય નામનો રાજયોગ બની રહ્યો છે. આ દિવસે મકર રાશિમાં ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર અને શનિ રહેશે. આ ગ્રહોના એક રાશિમાં હોવાથી પંચગ્રહી યોગ બની રહ્યો છે. ત્યાં જ, આ મહાપર્વમાં કુંભ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બનવી પણ શુભ રહેશે. બૃહસ્પતિ ધર્મ-કર્મ અને સૂર્ય આત્મા કારક ગ્રહ હોય છે. આ બંને ગ્રહોની યુતિમાં શિવ પૂજાનું શુભ ફળ અનેકગણું વધી જશે. શવિરાત્રિએ નક્ષત્રોની આવી સ્થિતિ છેલ્લાં અનેક વર્ષોમાં બની નથી.
પૂજાના મંત્ર
1. ૐ નમઃ શિવાય 2. ૐ હૌં જૂં સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્। ઉર્વારૂકમિવ બંધનાન્ મુત્યોર્મુક્ષિય મામૃતાત્।। ઉ સ્વઃ ભુવઃ ભૂઃ ૐ સઃ જૂં હૌં ૐ
આ પણ વાંચોઃ Virus can hack the account: આ વાયરસ એકાઉન્ટ હેક કરી શકે છે તમારુ ફેસબુક આઇડી- વાંચો વિગત
વ્રત કેવી રીતે કરવું
શિવરાત્રિએ સૂર્યોદય પહેલાં જાગીને પાણીમાં ગંગાજળ અને કાળા તલ મિક્સ કરીને સ્નાન કરવું. તે પછી આખો દિવસ વ્રત અને શિવ પૂજા કરવાનો સંકલ્પ લો. વ્રત કે ઉપવાસમાં અનાજનું સેવન કરવું નહીં. પુરાણોમાં ઉલ્લેખ છે કે આ દિવસે આખો દિવસ પાણી પીધા વિના રહેવું જોઈએ. જાણકારો પ્રમાણે આટલું કઠોર વ્રત ન કરી શકો તો ફળ, દૂધ અને પાણી પી શકો છો. આ વ્રતમાં સવાર-સાંજ સ્નાન કર્યા પછી શિવ મંદિરમાં દર્શન માટે જવું જોઈએ.
આ રીતે શિવપૂજા કરી શકો છો
- શિવરાત્રિએ સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મંદિરમાં શિવપૂજા કરવાનો અને વ્રત કરવાનો સંકલ્પ લો.
- આખો દિવસ વ્રત રાખવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. જે લોકો આખો દિવસ ઉપવાસ કરી શકે નહીં તેઓ દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકે છે.
- સાંજે સૂર્યાસ્ત પહેલાં ફરીથી સ્નાન કરો. કોઇ મંદિરમાં કે ઘરમાં જ શિવલિંગની પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રી ગણેશનું ધ્યાન કરો અને પૂજાની શરૂઆત કરો.
- પૂજા કરતી સમયે પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખશો તો સારું રહેશે.
- પૂજામાં શુદ્ધ જળમાં થોડું ગંગાજળ મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો.
- દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવો અને તેનાથી શિવલિંગનો અભિષેક કરો.
- પંચામૃત પછી સાફ જળથી અભિષેક કરો. તે પછી શિવલિંગ ઉપર ચંદન, ફૂલ, બીલીપાન, ધતૂરો, સુગંધિત સામગ્રી અને સિઝનલ ફળ ચઢાવો. સાથે જ ગણેશજી અને દેવી પાર્વતીની પણ પૂજા કરો. તેમને પણ વસ્ત્ર, ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો.
- દેવી-દેવતાઓ સામે ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવો.
- ઓમ ગં ગણપતયૈ નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગૌર્ય નમઃ મંત્રનો જાપ કરો.
- કપૂર પ્રગટાવીને આરતી કરો. તે પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલો માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેચો અને પોતે પણ ગ્રહણ કરો.