સારા સમાચારઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે સરકારે આપી મંજૂરી, કુલ 6616 અધ્યાપકોની ભરતી થશે ટૂંક સમયમાં પ્રક્રિયા શરુ
ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે સમગ્ર વેપાર ધંધા ઠપ થયા હતા, તેવામાં શિક્ષકો માટે આશાની કિરણ દેખાઇ રહી છે. તાજેતરમાં રાજ્યમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં નવા શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી છે. રાજ્ય કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે રાજ્યમાં 6616 અધ્યાપક શિક્ષકોની ભરતી કરાશે. ગ્રાન્ટેડ શાળાઓમાં 2307 જગ્યાઓની ભરતી કરાશે. ભરતી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3382 શિક્ષણ સહાયકની પણ ભરતી કરાશે. સહાયકો માટે સરકારે મંજૂરી આપી દીધી છે. કોલેજોમાં 927 અધ્યાપકોની ભરતી કરાશે.
અંગ્રજી વિષયના 624 શિક્ષકોની ભરતી કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તો એકાઉન્ટ વિષયના 446 શિક્ષકોની ભરતી કરાશે. સમાજશાસ્ત્રના 334 શિક્ષકોની ભરતી થશે. ઈકોનોમીના 276 શિક્ષકોની ભરતી થશે. ગુજરાતી વિષયના 254 શિક્ષકોની ભરતી કરાશે. ગણિત વિજ્ઞાનના 1039 શિક્ષકોની ભરતી કરાશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેશ કોન્ફરન્સમાં આ બાબતની માહિતી આપતાં જણાવ્યું હતું કે નવી ભરતી માટે મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી અને નાણામંત્રી બંનેનો આભારી છું. નવા શિક્ષકોની ભરતીને પગલે શિક્ષણકાર્યમાં ગુણવત્તામાં વધારો થશે. શાળા મર્જ કરવાને બદલે નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ખાલી પડેલા વિષય શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. આ માટે ટુંક સમયમાં જ લિસ્ટ બહાર પડાશે.
હાલમાં સ્કૂલો ખુલવા મુદ્દે પણ તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે આટલા લાંબા અંતરાલ બાદ બાળકોએ સ્કૂલે આવવામાં ઉત્સાહ બતાવ્યો છે. વાલીઓને પણ અનુરોધ છે કે તેઓ બાળકોને સ્કૂલે મોકલવામાં ડર ના અનુભવે. ભરતી પ્રક્રિયા માટે હવે પછીથી સમયસર જાહેરાત કરાશે.