Power cut in Gujarat: ગુજરાતમાં હવે થશે મોટાપાયે વીજકાપ, 6 જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ- વાંચો આ છે કારણ
Power cut in Gujarat:UGVCLએ એપણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોલસાની અછત પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાવર કાપ ચાલું રહેશે, ત્યારે આ વચ્ચે ગામડાઓમાં વસવાટ કરનાર લોકોની મુશ્કેલીમાં વધારો થશે
ગાંધીનગર, 06 ઓક્ટોબરઃPower cut in Gujarat: ગુજરાત રાજ્ય માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે, એક અહેવાલ પ્રમાણે ઉ.ગુજરાતના ગામડાઓમાં બપોરના રોજ પાવર કાપની જાહેરાત કરવામાં આવી છે. અત્યંત ચોંકાવનારી વાત છે કે છેલ્લા 20 વર્ષ કે તેથી વધુ વર્ષોમાં વીજળી કાપ રાજ્યના જનતાએ જોયો નથી. આટલા વર્ષો પછી પ્રથમ વખત વીજકાપ આવી રહ્યો છે.
બીજી તરફ UGVCLએ એપણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોલસાની અછત પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાવર કાપ ચાલું રહેશે, ત્યારે આ વચ્ચે ગામડાઓમાં વસવાટ કરનાર લોકોની મુશ્કેલીમાં વધારો થશે. ગામડાઓની હાલત બદ્થી બદતર થશે તેવી આંશકાઓ પણ સેવાઈ રહી છે. UGVCL એ કાપ જાહેર કર્યો છે. આ કંપની છેક ધોલેરા સુધી વિજ વિતરણ કરે છે
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડેનું સુત્ર છે ‘સર્વોત્તમ સર્વિસ દ્વારા ગ્રાહકોને સંતોષ આપવો..’ પરંતુ તેની સર્વિસ કેવી છે એ સૌ જાણે છે. અમદાવાદ શહેરનો ઘણો વિસ્તાર ઉત્તર ગુજરાત વીજ કંપનીના તાબામાં આવે છે. ત્યાં લાઈટ ગમે ત્યારે જતી રહેવાના બનાવો નોંધાતા રહે છે. સરકાર વિજય રૃપાણીની હોય કે ભુપેન્દ્ર પટેલની હોય વીજ કંપનીની કામ કરવાની ક્ષમતામાં જરાય વધારો થતો નથી કે પ્રજાના પ્રશ્નો ઉકેલવાની વૃત્તિ જોવા મળતી નથી
દેશમાં કોલસાની અછતના કારણે અમદાવાદ સહિત રાજ્યના 6 જીલ્લાઓમાં વીજ કાપ કરવામાં આવશે. આ છ જિલ્લાઓમાં પાટનગર ગાંધીનગર, અમદાવાદ, મેહસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં બપોરના સમયે વીજકાપ રહેશે. ઉત્તર ગુજરાતની વીજ કંપની UGVCLએ સરપંચોને આ અંગે જાણ કરી દીધી છે. કોલસાની અછત પુરી ન થાય ત્યાં સુધી બપોરના સમયે વીજકાપ રહશે
દેશમાં 70% વીજળી ઉત્પાદન કેન્દ્ર કોલસા પર આધારિત છે. કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટ્સથી 72 પાસે કોલસાને 3 દિવસથી પણ ઓછો સ્ટોક છે. જયારે 50 પાવર પ્લાન્ટ્સ એવા છે જ્યાં કોલસાનો 4થી 10 દિવસનો સ્ટોક બચેલો છે. 13 પ્લાન્ટ્સ જ એવા છે જ્યાં 10 દિવસથી વધુનો કોલસો બચેલો છે
ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેની પાછળનું મુખ્ય કારણ કોલસાના ઉત્પાદન અને આયાતમાં પડતી સમસ્યાઓ છે. ચોમાસાને કારણે કોલસાનું ઉત્પાદન ઘટી ગયું છે. તેના ભાવ વધ્યા છે અને પરિવહનમાં ઘણી અડચણો આવી છે. આ એવી સમસ્યાઓ છે જેના કારણે આવનારા સમયમાં દેશમાં વીજળીનું સંકટ આવી શકે છે.
વીજ મંત્રાલયે જણાવ્યું છે કે વીજળીની કટોકટી પાછળનું એક કારણ કોરોના સમયગાળો પણ છે. ખરેખર, આ સમય દરમિયાન વીજળીનો ઘણો ઉપયોગ થયો છે અને હવે વીજળીની માંગ પણ અગાઉની સરખામણીમાં ઘણી વધી ગઈ છે. ઉર્જા મંત્રાલયના ડેટા અનુસાર, 2019 માં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વીજળીનો કુલ વપરાશ દર મહિને 10 હજાર 660 કરોડ યુનિટ હતો. આ આંકડો વધીને 2021 માં દર મહિને 12 હજાર 420 કરોડ યુનિટ થયો છે.
વીજળીની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે કોલસાનો વપરાશ વધ્યો. 2021ના ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં 2019ની સરખામણીમાં કોલસાનો વપરાશ 18 ટકા વધ્યો છે. ભારતમાં 300 અબજ ટન કોલસાનો ભંડાર છે. પરંતુ હજુ પણ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાંથી મોટા પ્રમાણમાં કોલસાની આયાત થાય છે. જો આપણે ઇન્ડોનેશિયાની જ વાત કરીએ તો માર્ચ 2021માં કોલસાની કિંમત પ્રતિ ટન $60 હતી, જે હવે વધીને $200 પ્રતિ ટન થઈ ગઈ છે. તેના કારણે કોલસાની આયાત ઘટી છે. ઘણા કારણો છે જેના કારણે થર્મલ પાવર પ્લાન્ટ્સની વીજ જરૂરિયાતને પહોંચી વળવા કોલસો પહોંચતો નથી. આને કારણે પ્લાન્ટનો કોલસાનો ભંડાર સમય જતાં ઓસરી ગયો. હવે સ્થિતિ એ છે કે 4 દિવસ પછી દેશના ઘણા વિસ્તારોમાં અંધારું થઈ શકે છે.