અહેમદ પટેલ બાદ અભય ભારદ્વાજનું નિધન થતાં રાજ્યસભાની 2 બેઠક ખાલી પડી
અમદાવાદ, 02 ડિસેમ્બરઃ અઠવાડિયાની અંદર જ રાજ્યસભાના બે સાસંદનું નિધન થયું છે. તાજેતરમાં જ ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું છે. તેઓ જૂન મહિનામાં જ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા હતા. આ અગાઉ ગયા મંગળવારે કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, હવે ભારદ્વાજના નિધનથી રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી છે.
અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી યોજાય ત્યારે ભાજપ તેની બેઠક વિધાનસભામાં પોતાના સભ્યોના સંખ્યાબળને આધારે જીતે તેમ હતું, પરંતુ હવે ભારદ્વાજના નિધનને કારણે ખાલી પડેલી બેઠકને કારણે મતોની સંખ્યા વહેંચાવાથી કોંગ્રેસ એક બેઠક મેળવી શકશે.
નોંધનીય છે કે, બે બેઠક ખાલી પડી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે 61 મત જોઈએ. હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા 11 ધારાસભ્યો જોઇએ, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે.