Breastfeeding: પ્રસૂતિ પહેલા એન્ટી નેટલ અને બ્રેસ્ટ ફીડિંગ કાઉન્સેલિંગથી માતાનો વિશ્વાસ વધે અને સરળતાથી બાળકને ધાવણ આપી શકે છે- વાંચો વિગત
Breastfeeding: આગોતરી સમજણ અને જાણકારીના અભાવે મોટાભાગની માતાઓ બાળકને ઉચિત રીતે છાતીએ વળગાડ્યા વગર ડીંટડીથી ધાવણ આપે છે
અહેવાલઃ સુરેશ મિશ્રા
વડોદરા, 05 ઓગષ્ટઃ Breastfeeding: આરોગ્ય વિભાગની ગાઈડ લાઇનમાં નવજાત શિશુને જન્મ ના પહેલા કલાકમાં જ માતાનું ધાવણ આપવાની ભલામણ કરવામાં આવી છે. જો કે સગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય એન્ટી નેટલ અને બ્રેસ્ટ ફીડિંગ – પૂર્વ પ્રસૂતિ અને સ્તનપાન કાઉન્સેલિંગના અભાવે માતામાં વિશ્વાસની કમી રહે છે એવી લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગના તબીબ અને અધિક પ્રાધ્યાપક ડો.મૈત્રી શાહે જણાવ્યું કે, તેના લીધે માતાઓના મનમાં ‘ મને દૂધ ઓછું આવે છે,દૂધ નથી આવતું, હું બાળકને નહીં ધવડાવી શકું’ જેવા ડર ઘર કરી જાય છે.
આ પણ વાંચોઃ world breastfeeding week: માતા બાળકને ક્રૉસ ક્રેડલ પદ્ધતિથી ધવડાવે તો બાળકને ટીપે ટીપે નહીં પણ ઘૂંટડે ઘૂંટડે દૂધ પીવા મળે અને પોષણ સુધરે- વાંચો વિગત
પ્રસૂતિ પહેલાં જરૂરી સમજણ મળી ના હોય તો માતા બાળકને ઉચિત રીતે છાતીએ વળગાડી શકતી નથી અને ડીંટડી(નિપલ) થી દૂધ પીવડાવે છે.એટલે બાળક ની ઊર્જા દૂધ શોષવા માં વપરાય છે અને તેને પૂરતું દૂધ મળતું નથી.તેના લીધે વજન વધતું નથી અને બાળક નબળું રહે છે.
વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે બાળક માટે માતાના દૂધની અગત્યતા સમજાવતા તેમણે ઉમેર્યું કે, આ તકલીફોના નિવારણ માટે સગર્ભાવસ્થાની તપાસ દરમિયાન ભાવિ માતાને મોડલ ની મદદથી પ્રેક્ટિકલ કરાવીને,વિડિઓ બતાવીને બાળકને યોગ્ય રીતે છાતીએ વળગાડીને ધાવણ આપવાની સમજણ આપવી ખૂબ જરૂરી છે.
ખાસ કરીને પહેલીવાર માતા બનવાની હોય તેવી બહેનોનું આવું કાઉન્સેલિંગ અનિવાર્ય છે. બાળકને ધાવણ આપવાની બાબતમાં માતાનો આત્મ વિશ્વાસના બંધાય તો તે યોગ્ય અને પૂરતું દૂધ પીવડાવી શકતી નથી.અને સગાવ્હાલા બાળકને ઉપરના દૂધ પર ચઢાવી દેવાનો સહેલો રસ્તો અપનાવે છે. જે માતા અને નવજાત બાળક, બંનેના આરોગ્ય માટે જોખમી અને હાનિકારક છે.એટલે સગર્ભા બહેનોને સ્તનપાન અંગે સમજણ આપીને તેમનામાં વિશ્વાસ બંધાવવો ખૂબ જરૂરી છે.