ગુજરાત માટે સારા સમાચારઃ આ કંપનીને કોરોના રસીના ત્રીજા ટ્રાયલની સરકારે આપી મંજૂરી, વોલિન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ
અમદાવાદ,04 જાન્યુઆરીઃ વિશ્વભરમાં કોરોનાની મહામારીથી લોકો પરેશાન છે. દુનિયાના તમામ દેશો પોતાની રીતે વેક્સિન શોધી રહ્યાં છે તેવામાં ગુજરાત માટે સારા સમાચાર છે. કોરોના વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલી કોરોના વેક્સિન ZyCoV-Dની બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ભારત સરકારના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) દ્વારા ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
વૈશ્વિક ફાર્મા કંપની ઝાયડસ કેડિલા હવે ત્રીજા તબક્કામાં 30 હજાર જેટલા વોલિન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે. ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કામાં ZyCoV-D સલામત, રોગપ્રતિકારક શક્તિને નુકસાન નહીં પહોંચાડનારી હોવાનું સંતોષકારક પરિણામ સામે આવ્યું છે. તંદુરસ્તી ધરાવતા પુખ્ત વયના 1 હજાર જેટલા વોલિન્ટિયર્સ પર બીજા તબક્કાની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.
જેમાં વેક્સિન સલામત અને રોગપ્રતિકારક શક્તિને નુકસાન નહીં પહોંચાડતી હોવાનું પુરવાર થયું છે. સ્વાયત્તત્તા ધરાવતા ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ દ્વારા આ પરિક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેના રીપોર્ટ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનને નિયમિત ધોરણે મોકલવામાં આવતા હતા.
આ અંગે ઝાયડસ ગૂ્રપના ચેરમેન પંકજ આર. પટેલે જણાવ્યું કે, ‘કોરોના વેક્સિન તૈયાર કરવા માટે અમે હવે મહત્વના પડાવ તરફ પ્રવેશી ચૂક્યા છીએ. ભારતમાં તૈયાર કરવામાં આવેલી સલામત રસી દ્વારા કોરોના સામેના જંગમાં લોકોને મદદ કરવાનો અમારો હેતુ છે. કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે આ વેક્સિનની અસરકારક્તા કેટલી છે તેના માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ મહત્વની પુરવાર થશે.’
આ પણ વાંચો…
ભયંકર નુકશાનઃ કૃષિ આંદોલનની જિયો પર અસર રિલાયન્સ પહોંચ્યું કોર્ટને શરણે