Gujarat

India Tourism Statistics-2023 Report: વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને…

India Tourism Statistics-2023 Report: ૧.૭૮ મિલિયન વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી

ગાંધીનગર, 04 ઓગસ્ટઃ India Tourism Statistics-2023 Report: કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-૨૦૨૩ના અહેવાલ મુજબ, વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022 માં 8.59 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. જેમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એટલે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70% સાથે સૌથી વધુ રહ્યો છે.

એ જ પ્રમાણે વર્ષ 2022 માં 1731.01 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. જેમાંથી 135.81 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા એટલે કે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85% સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે.

રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યાનુંસાર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ગત વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવાના અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ પહેલો તેમજ પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસના પરિણામે આજે ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે.

પ્રવાસન વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુજરાતમાં આવતાં પ્રવાસીઓ માટે અનેકવિધ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્રવાસન દ્વારા મહત્વનું એવું ATITHYAM પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે.

ગુજરાત આ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પોર્ટલ ગુજરાતમાં આવતાં પ્રવાસીઓની સંખ્યાને ટ્રેક કરવા માટે રીઅલ-ટાઇમ ડેશબોર્ડ છે. સમગ્ર રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા મોનિટર કરવા આ એક મહત્વનું પ્લેટફોર્મ છે.

આ ડેશબોર્ડમાં મુખ્ય ૩ ઘટકો જેમ કે જિલ્લા કક્ષાનો ફૂટફોલ, ડેસ્ટિનેશન લેવલ ફૂટફોલ અને MIS રિપોર્ટ શેરિંગ છે. ડેશબોર્ડની અન્ય વિશેષતાઓમાં પ્રવાસીઓની વિગતવાર પ્રોફાઇલ જેવી કે ઉંમર, મૂળ સ્થાન, પ્રકાર, પ્રવાસનો હેતુ વગેરેનો સમાવેશ થાય છે.

રાજ્યના જીએસડીપીમાં પ્રવાસન ક્ષેત્રનું યોગદાન અને તેની ખર્ચના હેતુ પરની વિગતો પણ ડૅશબોર્ડમાં ઉપલબ્ધ બનાવાઇ છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યાને ડિજિટલ કરવાની આ પ્રકારની પ્રથમ પહેલ છે જેને ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા સંદર્ભે લેવાયેલા નીતિ વિષયક નિર્ણયોમાં આ પ્લેટફોર્મ માઇલસ્ટોન સાબિત થયું છે.

ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ વધે અને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનની કેટેગરી મુજબ અનેકવિધ નવા પગલાં ભરવામાં આવ્યા છે. આધ્યાત્મિક ક્ષેત્રે યાત્રાધામ પ્રવાસન માટે દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, સોમનાથ મંદિર અને પાલિતાણા જૈન મંદિરો જેવા વિવિધ ધાર્મિક સ્થળો વિકસાવવામાં આવ્યા છે.

પ્રવાસન વિભાગે માર્કેટિંગ ઝુંબેશ, ટ્રાવેલ એક્સ્પોઝ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં સહભાગિતા દ્વારા ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે વધુને પ્રોત્સાહન આપ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેક્ટરમાં પ્રવાસન ઈન્ફાસ્ટ્રક્ચર સુધારવામાં પ્રાધાન્ય આપીને હોટલ અને વાહનવ્યવહારની સુવિધા પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ- આરામદાયક બનાવી છે.

આ ઉપરાંત રાજ્યમાં હેરિટેજ ક્ષેત્રે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત તહેવારોએ રાજ્યની અનન્ય સાંસ્કૃતિક તકોનો અનુભવ કરવા રસ ધરાવતા પ્રવાસીઓને આકર્ષા છે. ચાંપાનેર-પાવાગઢ ડેવલપમેન્ટ, રાણીની વાવ, સૂર્ય મંદિર, મોઢેરા અને ઐતિહાસિક શહેર અમદાવાદનો પણ સુગ્રથિત વિકાસ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.

આ સિવાય ઇકો-ટુરીઝમ અને વાઇલ્ડલાઇફના વિકાસ માટે પણ સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કચ્છનું રણ, ગીર નેશનલ પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ પ્રકૃતિપ્રેમી અને વન્યજીવ પ્રેમીઓને આકર્ષિત કર્યા છે , જે આ પ્રદેશની વિવિધ વનસ્પતિ- પ્રાણીસૃષ્ટિને નિહાળવાની અપ્રતિમ તકો પુરી પાડે છે. શિવરાજપુર, દ્વારકા, માંડવી અને સોમનાથ જેવા ગુજરાતના દરિયાકિનારાના વિકાસે પ્રવાસન ક્ષેત્રે મોટી લોકપ્રિયતા મેળવી છે.

ગુજરાતના મજબૂત ઔદ્યોગિક આધાર અને વ્યવસાયની અનેકવિધ તકોના પરિણામે રોકાણની સંભાવનાઓ વધારી દીધી છે. આ ઉપરાંત ગુજરાતે ઇવેન્ટ ટુરિઝમમાં આગવું નામ પ્રસ્થાપિત કર્યુ છે. જેમાં વર્ષ દરમિયાન જી-૨૦, નવરાત્રિ, આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ, તાનારીરી મહોત્સવ તેમજ રણોત્સવ જેવી ઇવેન્ટ્સના પરિણામે ચોક્કસ સમયગાળા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

આટલું જ નહી પણ પ્રવાસનના વિકાસ માટે ગુજરાત સરકારની યોગ્ય પ્રવાસન નીતિઓ અને પ્રોત્સાહનની સાથે પ્રવાસીઓ-રોકાણકારોને સલામત અને સુરક્ષિત વાતાવરણ પુરૂ પાડ્યું છે.

રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા, તેના કુદરતી સૌંદર્યને માણવા અને આધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે હવાઇમથકના આધુનિકરણ, રોડ નેટવર્ક અને રહેઠાણના વિકલ્પોમાં રોકાણ કરવાની સરકારની નીતિ- હોમસ્ટે સહિત વિવિધ પ્રોજેક્ટના પરિણામ સ્વરૂપે ભારત સહિત સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મળી રહી છે.

ગુજરાતની મુલાકાત લેનારા દરેક પ્રવાસીને અજોડ હોસ્પિટાલિટી, સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરવાની સાથે પ્રવાસન ક્ષેત્રે ભવિષ્યમાં વધુ સારું રેન્કિંગ જાળવી રાખવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે તેમ, પ્રવાસન વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો… Love Jihad Case in Ahmedabad: લવ જેહાદના કારણે ઈસનપુરના બે વિધર્મીઓની થઈ ધરપકડ, વાંચો શું છે સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો