Namo vad van: મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાન નો પ્રારંભ કરાવ્યો
Namo vad van: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો વડ વન’ના વાવેતર કાર્યક્રમમાં 33 જિલ્લના 75 સ્થળોએ સહભાગી થયેલા નાગરિકો અને વન પ્રેમીઓને ‘બાયસેગ’ના માધ્યમથી પ્રેરક સંદેશ આપ્યો અને સંવાદ કર્યો
ગાંધીનગર, 21 માર્ચઃ Namo vad van: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાન નો પ્રારંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણ પ્રિય હેતુસર મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાન ની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી
“નમો વડ વન’ અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે.
વડાપ્રધાનની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ –આઝાદીના 75માં વર્ષે વન વિભાગનું ‘નમો વડ વન’ નિર્માણ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન: પ્રસ્થાપિત કરશે. એટલુજ નહિ ,ગ્રીન કવર વધારવા ના રાજ્ય સરકારના અભિગમ ને પણ વેગ આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો વડ વન’ના વાવેતર કાર્યક્રમમાં 33 જિલ્લના 75 સ્થળોએ સહભાગી થયેલા નાગરિકો અને વન પ્રેમીઓને ‘બાયસેગ’ના માધ્યમથી પ્રેરક સંદેશ આપ્યો અને સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે વન સાથે જન જોડીને રાજ્યમાં અલગ અલગ સ્થળોએ વનો ઊભા કર્યા છે. વન મહોત્સવો દ્વારા વધુ ને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધારવાનો માર્ગ અપનાવ્યો છે
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ૨૦૨૧ના અહેવાલ મુજબ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ૬૯૦૦ હેકટરનો વધારો થયો છે
રાજ્યમાં ૨૦૦૩માં વન વિસ્તાર બહાર અંદાજે ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા, તે વધીને હવે ૨૦૨૧ની વૃક્ષ ગણતરી મુજબ ૩૯.૭૫ કરોડ વૃક્ષો થયા છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જેના પર નિર્ભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓનું જતન-સંવર્ધનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વન વિસ્તારમાં વસતા વનબાંધવોના જીવનનો આર્થિક આધાર વન્ય પેદાશો છે. આપણે એ વનબાંધવોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, વનબંધુઓની આર્થિક આત્મનિર્ભરતા માટે ગૌણવન પેદાશના વેચાણ હક્કો પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓને આપ્યા છે. એટલું જ નહીં વનક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા 30થી 35 લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી છે.
આ પણ વાંચોઃ 40 days old son dies: શરદીની દવા પીને સુઈ ગયેલા માતાના પગ નીચે દબાઈ જતાં દોઢ મહિનાના દીકરાનું મોત-વાંચો વિગત
રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં બામ્બુ મિશન યોજના હેઠળ, ૫૮૯૧ હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ કરી છે. સેંકડો વર્ષો સુધી જીવંત રહેતા વડના વૃક્ષની જેમ સરકારના વિકાસ કામો પણ દીર્ઘકાલીન અને સસ્ટેનેબલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં જે વિકાસ કામોના બીજ રોપ્યા હતા તે હવે વિકાસના વટવૃક્ષ બની કરોડો નાગરિકોને સુશાસનની આગવી સુખ સુવિધાઓ આપી રહ્યા છે તેમ પણ ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વૃક્ષો-વનો પર્યાવરણની સુરક્ષા કરે છે, સાથોસાથ સ્વચ્છ વાયુ, નિર્મળ જળ, સ્વસ્થ જીવન માટે ઉપકારક છે. આપણે વધુ સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન માટે પ્રકૃતિના જતન, સંવર્ધન સાથે પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખાતર મુક્ત ખેતી તરફ વળવું પડશે એવો આગ્રહ ભર્યો અનુરોધ તેમણે કર્યો હતો. નમો વડ વન’ના વડવૃક્ષ વાવેતર પ્રારંભ પ્રસંગે વન મંત્રી કિરીટસિંહ રાણા, વન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર, વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ દિનેશ શર્મા તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક રામકુમાર અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.