kuvarjibhai bavaliya

One Nation One Ration: ‘વન નેશન વન રાશન‘ થકી દેશનો નાગરિક ભારતના કોઈપણ અન્ય સ્થળેથી અનાજ મેળવી શકે છે: કુંવરજી બાવળીયા

ગાંધીનગર, 28 ફેબ્રુઆરીઃ One Nation One Ration: ધારાસભ્યના સંકલ્પની ચર્ચામાં સહભાગી થતા અન્ન પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ‘વન નેશન વન રાશન‘ના અમલીકરણથી ગુજરાતનો જરૂરિયાતમંદ નાગરિક ભારતના કોઈપણ અન્ય સ્થળેથી અનાજ મેળવી શકે છે. દેશભરમાં ‘વન નેશન-વન રાશન‘નું અમલીકરણ કરનાર પ્રથમ ચાર રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. આજે અનેક રાજ્યોમાં તેનું અમલીકરણ થઈ ચૂક્યું છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં દેશના કોઈપણ જરૂરિયાતમંદ પરિવારને ભૂખ્યા ન સૂવું પડે તે માટે અમારી સરકારે વિનામૂલ્યે અનાજ આપવાની શરૂઆત કરી હતી. વડાપ્રધાનએ જાન્યુઆરી-૨૦૨૩થી આગામી પાંચ વર્ષ સુધી જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, વન નેશન વન રાશન કાર્ડ દ્વારા ભારતના કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકોને દેશના કોઈ પણ ખૂણેથી આ કાર્ડનો લાભ મેળવી અનાજ લઈ શકશે. આ કાર્ડ એ.ટી.એમ. કાર્ડની જેમ કામ કરશે જેમાં દેશના કોઈ પણ ખૂણેથી માત્ર બાયોમેટ્રિક પદ્ધતિથી અનાજ મેળવી શકાશે. આ કાર્ડ માટે અલગથી કોઈ કાર્ડ બનાવવાની જરૂર નહિ રહે પરંતુ નાગરિકો પાસે જે રાશન કાર્ડ ઉપલબ્ધ છે તેના બાયોમેટ્રિકથી જ તે લિંક થઈ જશે.

આ પણ વાંચો… Jharkhand Train Accident: ઝારખંડમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, 02 મુસાફરોએ જીવ ગુમાવ્યા

મંત્રીએ ઉમેર્યું હતું કે, વન નેશન વન રાશન કાર્ડમાં બે પ્રકારની પોર્ટેબિલિટી છે. જેમાં પ્રથમમાં ભારતનાં કોઈપણ રાજ્યના નાગરીકને અન્ય રાજ્ય માંથી પણ આ કાર્ડના માધ્યમ થકી અનાજ મળી શકશે. જ્યારે બીજીમાં એક રાજ્યના કોઈપણ જિલ્લામાંથી કાર્ડ મેળવ્યું હશે તો પણ અન્ય જિલ્લા કે તાલુકામાંથી પણ અનાજ મળી શકશે.

આ કાર્ડ માટે એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે જેમાં નાગરિકોને મળવાપાત્ર જથ્થો, મેળવેલ જથ્થો, અનાજની કિંમત, રસીદ, અનાજ મેળવનાર નાગરિકનું નામ સરનામું વગેરે જેવી તમામ સુવિધાઓ તેમાં ઉપલબ્ધ હશે. મંત્રીએ સૌ ધારાસભ્યઓને તેમના વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા વિધાનસભા ગૃહ ખાતે સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો કે, દેશના જરૂરિયાતમંદ પરિવારોને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળની વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવે છે. નાગરિકો દેશના કોઇપણ ખૂણેથી અનાજ મેળવી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘વન નેશન વન રાશન‘નું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના છેવાડાના નાગરિકો સુધી આ યોજનાનો લાભ પહોંચતો થાય તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

“રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા ઘઉં, ચોખા, તેલ, ખાંડ, દાળ, કઠોળ વગેરે સબસીડીયુક્ત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું હતું કે, દેશમાં અને રાજ્યમાં APL અને BPL કાર્ડ ધરાવતા કુટુંબો ખાસ કરીને શ્રમિક વર્ગના હોય છે.

આવા લોકોને રોજગારી મેળવવા પોતાના વતનથી દૂર અન્ય સ્થળોએ સ્થળાંતર કરવું પડે છે. ક્યારેક જિલ્લા બહાર તો ક્યારેક રાજ્ય બહાર પણ રોજગારી મેળવવા જવું પડે છે. આવા સ્થળાંતર કરતા લોકોને સસ્તા અનાજની સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે “વન નેશન, વન રાશન કાર્ડ” યોજના બનાવી છે.

તેમણે ઉમેર્યું કે, શ્રમિકો રોજગારી મેળવવા કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરે તો પણ રેશન કાર્ડ ધરાવતા લોકોને સરકારી અનાજ વિતરણની વ્યવસ્થાનો લાભ આપવાના દ્રઢ નિર્ધાર સાથે ઓગષ્ટ- ૨૦૧૯માં “એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ” એટલે કે “વન નેશન, વન રાશન કાર્ડ” યોજના અમલમાં મૂકવામાં આવી. તેમાં ગુજરાત રાજ્યને પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય વચ્ચે પોર્ટેબિલિટી દ્વારા વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ જરૂરિયાતમંદ લોકો સરળતાથી મેળવી શકે તે માટે ‘’વન નેશન, વન રાશન કાર્ડ” એટલે કે ONORCની જાણકારી તમામ નાગરિકો સુધી પહોંચે તે માટે બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવા અને છેવાડાના માણસને યોજનાથી લાભાન્વિત બનાવવા માટે અસરકારક પગલાં લેવા સભ્યએ અનુરોધ કર્યો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો