લોકડાઉન બાદ લોકોમાં વધ્યો સાયકલિંગનો ક્રેઝ: સિંગર અરવિંદ વેગડાએ રાઇડર્સનો ઉત્સાહ વધાર્યો સાથે સાઇકલિંગનું મહત્વ જણાવ્યું
અહેવાલઃ બિજલ પટેલ
અમદાવાદ,17 જાન્યુઆરીઃ કોરોનાના કહેરના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ લોકો સ્વાસ્થ્ય બાબતે સજાગ બન્યા છે. લોકોમાં સાઇકલિંગનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. સાઇકલિંગનો ક્રેઝ લોકોમાં યથાવત રહે અને શુદ્ધ વાતાવરણ બની રહે તેવા હેતુ સાથે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તાર ખાતે ફન રાઇડ નું આયોજન કરવામાં આવ્યું હતું. ફન રાઈડમાં ગુજરાત સાયકલિંગ ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. સાથે ગુજરાતી સિંગર અરવિંદ વેગડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાયકલિંગ કરતા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
સાઇકલિંગ વિશે વાત કરતા જાણીતા ગુજરાતી સિંગર અરવિંદ વેગડાએ કહ્યું કે,`હું ઘણા વખતથી સાઇકલિંગ કરું છું. મારા બે મિત્રો છે અશોક ભાઇ અને મુકેશ ભાઇ તે સાઇકલના ઓનર છે. તે મિત્રોએ ચાર વર્ષ પહેલા જ મને સાઇકલિંગનો ચસકો લગાવી દીધો હતો. ત્યારથી હું નિયમિત સાઇકલિંગ કરું છું. મોટાભાગના સાઇકલિંગના ઇવેન્ટમાં હું હાજર રહુ છું. આ સાઇકલિંગ રાઇડ દ્વારા અમે લોકોને એજ કહેવા માંગીએ છીએ કે સાઇકલિંગ કરો તે તમારા સ્વાસ્થ્ય માટે તે સાથે વાતાવરણને શુદ્ધ-સ્વચ્છ રાખવા માટે પણ ખૂબ જ જરુરી છે.’
વધુ માં જણાવતા અરવિંદ વેગડાએ કહ્યું,`હાલ લોકોને ખૂબ જ દૂર દૂર જવાનું હોય છે, પરંતુ જ્યાં નજીક એટલે કે ઓછા અંતરમાં જવાનું હોય તો લોકોએ સાઇકલનો જ ઉપયોગ કરવો જોઇએ. પહેલા તો સ્કૂલમાં પણ બાળકો સાઇકલ લઇને જતા હતા. પરંતુ હવે તો સ્કૂલ દૂર હોય એટલે તેઓ બસ કે વાનમાં જાય છે. હું પોતે ઘણી વખત ઓફિસ પર સાઇકલ લઇને જ જવુ છું. લોકડાઉનમાં લોકોમાં સાઇકલનો ક્રેઝ વધ્યો તે સારી વાત છે, પરંતુ તે કાયમ રહેવુ જોઇએ. તેવુ હું ઇચ્છું છું.’
ઉલ્લેખનીય છે કે, કેટલા લોકો દ્વારા અમદાવાદ શહેરમાં જ 5૦૦ કિલોમીટરની યાત્રા કરી અલગ અલગ ગણેશજીના દર્શન કરીને સાઇકલ કરતા રહેવાનો સુંદર સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો….