Attack on hindu temple: મંદિર તોડનારાની તુરંત ધરપકડ કરો, દેશમાં બીજા મંદિરો ન તૂટે તે માટે પગલાં ભરોઃ પાક.ના મુખ્ય ન્યાયધીશનો સરકારને આદેશ
Attack on hindu temple: સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની સરકાર અને પોલીસની ઝાટકણી કાઢીને ભાંગફોડિયા તત્વોને તુરંત પકડી લેવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં, હવે પછી મંદિરો ન તૂટે તેવા પગલાં ભરવાનો આદેશ પણ કર્યો હતો
લાહોર, 07 ઓગષ્ટઃAttack on hindu temple: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિન્દુ મંદિર તોડી પડાયું તે મુદ્દે પાક.ની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની સરકાર અને પોલીસની ઝાટકણી કાઢીને ભાંગફોડિયા તત્વોને તુરંત પકડી લેવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં, હવે પછી મંદિરો ન તૂટે તેવા પગલાં ભરવાનો આદેશ પણ કર્યો હતો.
પંજાબ-પ્રાંતના રહીમયાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં આવેલા હિંદુ મંદિરને કટ્ટરવાદી જૂથે તોડી પાડયું હતું. મંદિરમાં ઘૂસીને મૂર્તિઓ તોડી પાડી હતી અને મંદિરમાં હાજર લોકો સાથે મારપીટ કરી હતી. એ મુદ્દે ઈમરાન ખાનની સરકારે તપાસના આદેશ કર્યા હતા. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ સુઓ-મોટો દાખલ કરીને આ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ગુલઝાર અહેમદે ઈમરાન ખાનની સરકારની ઝાટકણી કાઢીને સવાલો કર્યા હતા. મુખ્ય ન્યાયધીશે પૂછ્યું હતું કે જ્યારે મંદિરમાં ભાંગફોડિયા તત્વો તોડફોડ કરતા હતા ત્યારે પોલીસ શું કરતી હતી? સરકારી તંત્રએ કેમ કોઈ પગલાં ન ભર્યા?
સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને આદેશ આપ્યો હતો કે હવે જે મંદિરો છે, તેની સલામતીની સરકાર ખાતરી આપે. આવી ઘટનાઓથી દેશનું માથું દુનિયા સામે શરમથી ઝૂકી જાય છે તેથી આવી ઘટનાઓ ન બને તે દિશામાં નક્કર પગલાં ભરવા જોઈએ. મુખ્ય ન્યાયધીશે ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની ભરી કોર્ટમાં ખબર લઈ નાખી હતી. મુખ્ય ન્યાયધીશે પૂછ્યું હતું કે તમે લઘુમતીઓની સલામતી માટે પોલીસ શું કરી રહી છે?
જવાબમાં આઈજીપી અહેમદ ગનીએ કહ્યું હતું કે ભોંગમાં ૭૦ હિન્દુ પરિવારોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે અને હુમલો કરનારાની ઓળખની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયધીશે કહ્યું હતું કે જો પોલીસ કમિશ્નર, ડેપ્યુટી પોલીસ કમિશ્રર અને જિલ્લા પોલીસ વડા કટ્ટરવાદીઓને કાબૂમાં લઈ ન શકતા હોય તો એને તુરંત સસ્પેન્ડ કરો. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સરકારને જવાબ આપવાનો આદેશ કર્યો છે.