Victory day 1971: બાંગ્લાદેશમાં યોજાયેલી પરેડમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘ગેસ્ટ ઓફ ઓનર’, તો બીજી તરફ યુધ્ધ સ્મારક પર PMએ આપી શ્રધ્ધાંજલિ
Victory day 1971: 16 ડિસેમ્બર 1971 ના રોજ ભારતે આજના જ દિવસે પાકિસ્તાનને યુધ્ધમાં ધૂળ ચટાડી હતી
નવી દિલ્હી, 16 ડિસેમ્બરઃ Victory day 1971: 1971ના યુધ્ધની આજે સુવર્ણ જયંતિ છે.આ પ્રસંગે બાંગ્લાદેશમાં યોજાયેલા વિજય દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગેસ્ટ ઓફ ઓનર તરીકે સામેલ થયા છે.
ઢાકામાં આજે રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડમાં પરેડનુ આયોજન કરવામાં આવ્યુ છે.રાષ્ટ્રપતિ કોવિંદ ત્રણ દિવસ માટે બાંગ્લાદેશની મુલાકાતે છે.બુધવારે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ અબ્દુલ હમિદે પોતાની પત્ની સાથે તેમનુ ઢાકા એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતુ અને તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ હતુ.
આજના સમારોહમાં સામેલ થનારા તેઓ એક માત્ર વિદેશી રાષ્ટ્ર અધ્યક્ષ છે.રાષ્ટ્રપતિ કોવિંદે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ બુધવારે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચેના ઘણા મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી હતી.બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમીન સાથે પણ રાષ્ટ્રપતિ કોવિંદની બેઠક યોજાઈ હતી.
નોંધનીય છે કે, 1971માં ભારતે આજના જ દિવસે પાકિસ્તાનને યુધ્ધમાં ધૂળ ચટાડી હતી.આજે વિજય દિવસના અવસરે પીએમ મોદી રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલના સન્માન સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
આ યુધ્ધમાં શહીદ થયેલા જવાનોને તેમણે શ્રધ્ધાંજલિ આપી હતી.સાથે સાથે વિઝિટર બૂકમાં તેમણે લખ્યુ હતુ કે, સમગ્ર દેશ તરફથી હું 1971ના યુધ્ધના યોધ્ધાઓને સલામ કરુ છું.નાગરિકોને તેમની વીરતા પર ગર્વ છે.આ યોધ્ધાઓએ વીરતાની અનોખી ગાથા લખી હતી.
તેમણે કહ્યુ હતુ કે, આજે 1971 યુધ્ધમાં ભારતીય સેનાના જવાનોની વીરતા અને બલિદાનને યાદ કરવાનો અવસર છે.સાથે સાથે બાંગ્લાદેશને આઝાદ કરવા માટે લડનારા લોકોને પણ સલામ.આપણે સાથે મળીને અત્યાચારી શક્તિઓ સાથે લડાઈ લડીને વિજય હાંસલ કર્યો હતો.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ સન્માન સમારોહમાં હાજરી આપીને એક ટપાલ ટિકિટ રિલિઝ કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, 1971નુ યુધ્ધ ભારતના સૈન્ય ઈતિહાસનો સોનેરી અધ્યાય છે.ભારતીય સેનાની ઉપલબ્ધિઓ પર આપણને ગર્વ છે.