અખાત્રીજ(akshaytrutiya)નું મહત્વઃ ખેડૂતો માટે ખાસ છે આજનો દિવસ, વાંચો વિગતે
ધર્મ ડેસ્ક, 13 મેઃ અખાત્રીજ(akshaytrutiya)નો મહિમા ત્રેતા યુગથી છે. જી, હાં વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે. આ દિવસે ત્રેતાયુગમાં ૠષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં પરશુ ધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો ષષ્ઠંમ અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સદાયે ચિરંતન મનાતા રામભક્ત હનુમાનજી, દ્રોણ પુત્ર અશ્વસ્થામા, મહર્ષિ વેદવ્યાસ., વિભીષણ, કૃપાચાર્ય, અને માર્કંડેય ઋષિની સાથે ભગવાન પરશુરામનું નામ પણ જોડાયેલું છે. અખાત્રીજના દિવસથી સમસ્ત માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ચંદ્રમાં અને નક્ષત્રોની ગતિ મુજબ તિથીઓ બને છે. જેમ જેમ ચંદ્રની કળામાં વધઘટ થાય તે જ રીતે તિથિઓમાં પણ વધઘટ થાય છે. પરંતુ વૈશાખ તૃતીયાનો દિવસ જ એક માત્ર વર્ષભરનો એક એવો દિવસ છે જેમાં કોઈ જ વધઘટ થતી નથી. તેથી આ દિવસને અક્ષય તૃતીયાને નામે ઓળખવામાં આવે છે. જ્યારે કવિઓનાં મતે વીતી રહેલ વસંતૠતુ અને વૈશાખમાસની આવતી ગ્રીષ્મસંધ્યાકાળનો સમય તે અક્ષત તૃતીયા તરીકે ઓળખાય છે. અક્ષય તૃતીયા(akshaytrutiya)નો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ,નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ વગેરે વિવિધ શાસ્ત્રોએ ગાયેલો છે.
એક માન્યતા અનુસાર અખાત્રીજ(akshaytrutiya)ના દિવસથી કળયુગનો પ્રારંભ થયો હતો. આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. આ દિવસે ખેડૂતો પોતાના શસ્ત્રો અને પોતાના પશુઓનું પૂજન કરે છે. સાથે સાથે ખેતીવાડી સારા થાય પછી નવા અન્નની પૂજા પણ કરે છે. જેથી કરીને ઉન્નત અને ઉત્કર્ષ ભાવના પ્રકટ થાય છે.
આ પણ વાંચો…..
Parshuram jayanti: આજના પર્વેે વાંચો, ભગવાન પરશુરામના જન્મની દંતકથાઓ