Rama Ekadashi 2022: આવતી કાલે રમા એકાદશી, આ દિવસે કરો લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા
Rama Ekadashi 2022: સવાર-સાંજ અને બીજા દિવસે એટલે બારસ તિથિએ પણ વિષ્ણુ પૂજન કરવું જોઈએ
ધર્મ ડેસ્ક, 20 ઓક્ટોબરઃ Rama Ekadashi 2022: 21 તારીખે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ માટે પૂજા, વ્રત-ઉપવાસ કરવાનો શુભ યોગ બની રહ્યો છે. આસો મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. રમા મહાલક્ષ્મીનું જ એક નામ છે.
જ્યોતિષ અનુસાર, શુક્રવારે આ તિથિ હોવાથી આ દિવસે લક્ષ્મી-વિષ્ણુ સાથે જ શુક્ર ગ્રહ માટે પણ ખાસ પૂજા-પાઠ કરવા જરૂરી છે. શુક્રની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહને લગતા દોષ છે, તેમણે આ એકાદશીએ શિવલિંગનો દૂધથી અભિષેક કરવો જોઈએ. દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો. આ વ્રતમાં આખો દિવસ નિરાહાર રહેવું જોઈએ. આખો દિવસ ભગવાનના નામનો જાપ અને મંત્રનો જાપ કરવો જોઈએ. જો ભક્ત ઇચ્છે તો ફળાહાર પણ કરી શકે છે. સવાર-સાંજ અને બીજા દિવસે એટલે બારસ તિથિએ પણ વિષ્ણુ પૂજન કરવું જોઈએ. બારસ તિથિએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી સ્વયં ભોજન કરવું જોઈએ.
એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો. જળ ચઢાવતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. તે પછી ઘરના મંદિરમાં પૂજા કરો. સૌથી પહેલાં ગણેશ પૂજા કરો. તે પછી લક્ષ્મી-વિષ્ણુજીની પ્રતિમાને જળથી સ્નાન કરાવો. તે પછી કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવું અને ભગવાનને અર્પણ કરવું.
દૂધ પછી સ્વચ્છ જળ અર્પણ કરો. આ દરમિયાન ૐ નમો નારાયણ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. ભગવાનનો ફૂલોથી શ્રૃંગાર કરો. લાલ-પીળા વસ્ત્ર પહેરાવો. ઘરેણાં પહેરાવો. ચંદનથી તિલક લગાવો. ચોખા, કંકુ, હાર-ફૂલ, અત્તર વગેરે ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા કર્યા પછી ભગવાન પાસે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગવી જોઈએ.