Vat purnima: જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે મહિલાઓ કરે છે વટસાવિત્રી વ્રતની ઉજવણી- વાંચો તેના વિશે વિગતે
Vat purnima: આ દિવસે એટલે જેઠ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાન કરીને પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
ધર્મ ડેસ્ક, 14 જૂનઃ Vat purnima: જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે એટલે કે પૂનમના દિવસે મહિલાઓ વટ સાવિત્રી વ્રત કરે છે. પતિની લાંબી ઉંમરની કામના સાથે આ દિવસે વડના ઝાડ સાથે સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની આરાધના કરવામાં આવે છે. જેથી સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.
સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમના રોજ આ વ્રત કરવાનું વિધાન છે. સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓ આ વ્રત કરે છે. આ દિવસે એટલે જેઠ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાન કરીને પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસથી જ લોકો ગંગા જળ લઇને અમરનાથ યાત્રા શરૂ કરે છે.
પૂર્ણિમાંત કેલેન્ડર એટલે પૂનમથી શરૂ થતાં હિંદુ મહિનામાં વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની અમાસના રોજ ઉજવાય છે, જે શનિ જંયતી સાથે આવે છે. ત્યાં જ અમાંત કેલેન્ડર એટલે અમાસથી હિંદુ મહિનાની શરૂઆત થતાં કેલેન્ડરમાં વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે, જેને વટ પૂર્ણિમા વ્રત પણ કહેવામાં આવે છે. એટલે મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં મહિલાઓ ઉત્તર ભારતની મહિલાઓની સરખામણીએ 15 દિવસ પછી વટ સાવિત્રી વ્રત કરે છે.
પરિણીત મહિલાઓ આ વ્રત કરે છે
વટ પૂર્ણિમા વ્રત કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે. સંતાન અને પતિની ઉંમર વધે છે. આ વ્રતના પ્રભાવથી અજાણ્યે કરેલાં પાપ પણ દૂર થઈ જાય છે. આ વ્રત જેઠ મહિનામાં આવે છે. એટલે તેનું મહત્ત્વ વધારે છે. હિંદુ ધર્મમાં જેઠ મહિનાની પૂનમ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ગંગા સ્નાન અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસથી જ લોકો ગંગા જળ લઇને અમરનાથ યાત્રા શરૂ કરે છે.
પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રીએ પોતાના તપ અને સતિત્વની તાકાતથી મૃત્યુના સ્વામી ભગવાન યમને પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા કરવા માટે મજબૂર કર્યા હતાં. એટલે પરિણીત મહિલાઓ પોતાના પતિની સલામતી અને લાંબી ઉંમર માટે વટ સાવિત્રી વ્રત કરે છે.