Farmers protest: મૂંહ મેં કિસાન, મન મેં કપટ- યે હૈ ટિકૈત કી અસલી રમત !
Farmers protest: કહેવાતા કિસાનોના આંદોલનને એક વર્ષ પૂરું થયું. ત્રણ કૃષિ કાયદા બાબતે, જીદ, મમત, કપટ તેમજ કરામતનો જે ખેલ મંડાયો હતો તે ખેલને કારણે મોટું મન કે આગામી ચૂંટણીની મજબૂરી જે કહો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદાઓને પાછા લેવાનું જાહેર કર્યું.
Farmers protest: કૃષિ કાયદાના લેખ-જોખા, સમર્થન-વિરોધમાં ઘણું બધું કહેવાયું છે એટલે એની પંચાત નથી કરવી.
આ કાયદાઓ સાચે જ કિસાન હિતૈષિ હતા ?
કિસાનો, ખેડૂતોના મુદ્દે આ સરકારની નિયત અને નીતિ કિસાનોની આવકમાં વધારો થાય તેવી રહી છે. પરિણામ સમયાનુસાર જુદું આવી શકે પરંતુ કમસે કમ આ સરકારની નિયત સામે શંકા કરી શકાય તેમ નથી. આ વર્ષ દરમ્યાન દેશના વિવિધ પ્રદેશોના ખેડૂતોને આ કાયદાને કારણે ફાયદો થયાના સમાચાર આવતા રહ્યા છે.
આંદોલન સાચે જ કિસાન હિતૈષિ હતું કે છે ?
ના, જરાય નહિ. આ આંદોલન ફક્ત ને ફક્ત રાજનીતિ પ્રેરિત કિસાનોના નામે અંગત સ્વાર્થ સાધવાનું આંદોલન છે. જો આંદોલન સાચે જ કિસાન હિતૈષિ હોત તો કાયદા પાછા ખેંચવાની જાહેરાત સાથે આંદોલન સમાપ્ત થઇ ગયું હોત.
તેના બદલે રાકેશ ટિકૈત રોજ રોજ ગોળ ગોળ વાતો કરતા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરતો રહે છે. વાસ્તવમાં આ આંદોલનને કિસાનો સાથે રતીભાર સબંધ નથી, તેમનો મકસદ ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ખેલ પાડવાની મેલી મનસા સાથે છે. કોંગ્રેસ સહીત વિપક્ષો સીધી રીતે મુકાબલામાં ભાજપને ટક્કર આપી શકે તેમ ન હોવાથી આ આંદોલન દ્વારા આડકતરી રાજનીતિ ખેલાઈ રહી છે.
આખા દેશના ખેડૂતો સામે ફક્ત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના જ કેટલાક ખેડૂતોને જ કેમ વાંધો પડ્યો તેનું કારણ સમજવા રોકેટ સાયન્સ ભણવાની જરૂર નથી. વળી આ આંદોલનની શરૂઆત તે સમયના પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રી અમરિન્દર સિંહના માર્ગદર્શન અને સલાહથી જ થઇ હતી, પરંતુ અંતે આ આખા આંદોલનને વિદેશી તેમજ ખાલીસ્તાની તત્વોએ હાઇજેક કરી લીધું છે. કોંગ્રેસ અને વિપક્ષોએ ઉભો કરેલો રાકેશ ટિકૈત અન્યના હાથનું રમકડું બની ગયો છે.
ટીવી સમાચાર મીડિયાને તો ચેનલો ચલાવવા આખું વરસ હીરો કે વિલનની જરૂરત રહે છે, રાકેશ ટિકૈતે બંને જરૂરત પુરી કરી છે, કેટલીક ચેનલો માટે તે હીરો છે તો કેટલીક માટે વિલન. પરંતુ સરવાળે બંનેએ રાકેશ ટિકૈતને એટલું કવરેજ આપ્યું કે તે પોતાને સર્વેસર્વા માનવા લાગ્યો છે. એક મહિનો મીડિયા રાકેશ ટિકૈતને મહત્વ આપવાનું બંધ કરી દે તો આંદોલન બંધ થઇ જાય.
બે-ત્રણ લાખ લોકો દેશની રાજધાનીની બોર્ડર પર કબજો જમાવી આખું વરસ પડી રહે ત્યારે સ્વાભાવિક સવાલ તો એ ઉઠે છે કે આ લોકોને રહેવા, જમવા, ખાવા, પીવાની વ્યવસ્થા કોણે, કેવી રીતે સાચવી અને સંભાળી ? વિદેશી ફન્ડીંગની વાતો પણ ચગી છે જે સાચી હોવાની શક્યતા વધુ છે અને તે રોકવામાં સરકારી તંત્ર નિષ્ફળ ગયું છે તે પણ વાસ્તવિકતા છે.
સરકાર આંદોલનકારી ખેડૂતો સામે નથી ઝૂકી, અરાજક તત્વો સામે ઝૂકી છે. બે ત્રણ-લાખ કે અમુક તમુક રાજ્યોના કહેવાતા કિસાનોના આંદોલનકારીઓને કારણે આખા દેશના ખેડૂતોને લાભાર્થી અને ફાયદાકારક કાયદાઓ પાછા ખેંચવા પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
સાચી વાત તો એ છે કે કાયદાઓ પાછા ખેંચવામાં સરકાર કરતા આવા લાભાર્થી અને ફાયદો પ્રાપ્ત કરનારા ખેડૂતો/કિસાનોની સ્વાર્થપૂર્ણ ચુપકીદી વધારે જવાબદાર છે. કિસાનોએ સમર્થનમાં પ્રચંડ રેલી કાઢી વિરોધીઓને જવાબ આપવાની જરૂર હતી.