flamingo Khijadiya Bird Sanctuary

Khijadiya Bird Sanctuary: ખીજડીયા પક્ષી અભ્યારણ્ય; જ્યાં જોવા મળે છે અતિ દુર્લભ કક્ષાની 170 પ્રજાતિના યાયાવર પક્ષીઓ. જાણો વિગતે

Khijadiya Bird Sanctuary: મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઇબેરિયા વગેરે દેશોના ૧૭૦ પ્રજાતિના યાયાવર પક્ષીઓ દર વર્ષે બને છે ખીજડીયાના મહેમાન

કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) સહિતના દુર્લભ પ્રજાતિના પક્ષીઓ ખીજડીયા ખાતે સરળતાથી જોવા મળે છે

Khijadiya Bird Sanctuary
  • ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની ૩૧૪ પ્રજાતિઓનું ઘર, જેમાંની ૨૯ પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની
  • રામસર સાઈટ ઘોષિત થતા અભયારણ્યની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગશે
  • ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ ૧૯૮૪માં આ અભયારણ્યની મુલાકાત લઇ એક જ દિવસમાં ૧૦૪ જાતના પક્ષીઓને ઓળખી કાઢ્યા હતા

અહેવાલ: વિરેન્દ્રસિંહ પરમાર
જામનગર, 05 ફેબ્રુઆરી:
Khijadiya Bird Sanctuary: ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.

Khijadiya Bird Sanctuary

ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસોના કારણે તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળતા પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

અહીં પક્ષીઓની ૩૧૪ જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના ૧૭૦ જાતિના પક્ષીઓ યાયાવર છે જ્યારે ૨૯ જાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે જેમાં કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો સમાવેશ થાય છે.સમગ્ર પણે ૧૦૦ જાતિના પક્ષીઓ આ અભયારણ્યમાં સંતતિ પેદા કરતા હોવાનું પણ જણાયું છે. વર્ષ ૧૯૮૪માં ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ આ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમાં ૧૦૪ જાતના પક્ષીઓને તેઓએ ઓળખી કાઢ્યા હતા.

Gujarati banner 01

આ અંગે વધુ વિગતો આપતાં ખીજડીયા પક્ષી અભ્યારણના આર.એફ.ઓ.સુશ્રી દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું હતું કે ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ જાહેર થતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સ્થળને આગવી ઓળખ પ્રાપ્ત થઇ છે અહીં જૈવ વૈવિધ્ય ખૂબ જ દુર્લભ છે. અહીં ખારા તથા મીઠા પાણીના બંધ તેમજ ઘાસવાળી જમીનના કારણે વૃક્ષ, જમીન, પાણી તથા શિકારી પક્ષીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન સાબિત થયું છે. આ અભ્યારણ લુપ્ત થતી પ્રજાતિનું પણ ઘર બન્યું છે અને અહીંના સાનુકૂળ વાતાવરણને કારણે આ દુર્લભ પ્રજાતિની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.

Khijadiya Bird Sanctuary

કઈ રીતે નિર્માણ પામ્યું ખીજડીયા પક્ષી અભયારણ્ય?

દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને ૧૯૨૦માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજીએ ઓખા થી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. જે બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ-વિદેશના પક્ષીઓ આવવા લાગ્યા હતા અને સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ બન્યું હતું અને વર્ષ ૧૯૮૨માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભ્યારણ તરીકે જાહેર કરાયું હતું.

Khijadiya Bird Sanctuary

રામસર સાઈટનો દરજ્જો મળતાં આ સ્થળ બનશે દેશ વિદેશના પક્ષી પ્રેમીઓનું માનીતું સ્થળ

ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ તથા પક્ષીપ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઇકો-સિસ્ટમ તેમજ દુર્લભ પક્ષીઓને જોવાનો અનેરો લ્હાવો મળશે. ૩૦૦થી વધુ પ્રકારના પક્ષીઓ અને ૨૯ જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો ‘રાજા’ ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથા બ્લેકનેક સ્ટોર્ક, ગ્રેટ ક્રિસ્ટેડ ક્રિપ, કોમન પોચાર્ડ, વાઇટ આઇવીસ, ડાઇમેશન, પેલિકન વગેરેનો લ્હાવો મળી શકશે.

Khijadiya Bird Sanctuary

આ પણ વાંચો…Vasant special: વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. આજે જાણીએ વસંત પંચમીનાં પર્વને ઉજવવા પાછળનું કારણ વૈભવી જોશી પાસેથી

કયા દેશના પક્ષીઓ બને છે ખીજડીયાના મહેમાન

શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભ્યારણ્ય ખાતે આવે છે. પક્ષીઓ ઉત્તર તરફથી દક્ષિણ તરફ જ્યારે પ્રયાણ કરતા હોય છે ત્યારે ઇન્ડો-એશિયન ઉડ્ડ્યન માર્ગના મધ્યમાં આવતું હોવાના કારણે પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું બન્યું છે. જેમાંના અનેક દેશોના પક્ષીઓ સમગ્ર શિયાળો આ સ્થળે જ વિતાવે છે.

Khijadiya Bird Sanctuary gate

અહીં કઇ રીતે પહોંચશો?

ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર-રાજકોટ હાઇવેથી ૩ કિ.મી. દૂર આવેલુ છે.ખીજડીયા ગામ જવાના રોડ્થી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જામનગર શહેરથી તેનું અંતર અંદાજીત ૧૨ કિ.મી. જેટલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *