MoU with Adani Group Gujarat Government: અદાણીના ઔદ્યોગિક સંસ્થાનોમાં વિદ્યાર્થી આલમના પ્રવાસ માટે ગુજરાત સાથે કરાર
સુરત, ૦૫ જાન્યુઆરીઃ MoU with Adani Group Gujarat Government: અદાણી જુથના સામાજિક વિકાસના બાહુબળ અદાણી ફાઉન્ડેશને તેના ઉડાન પ્રોજેકટ અંતર્ગત ગુજરાતની શાળા-કોલેજના ટેકનિકલ અને બિન ટેકનિકલ વિદ્યાર્થીઓને ગુજરાતમાં કાર્યરત અદાણી જુથના ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ઉપલબ્ધ સુવિધાઓના જાતઅભ્યાસ માટે પ્રવાસે લઇ જવા માટે ગુજરાત સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા છે. શૈક્ષણિક સંસ્થાઓની આંતર રાષ્ટ્રિય પરિષદ-૨૦૨૨ના મહાનુભાવોની હાજરીમાં પ્રોજેકટ ઉડાન ઉપર સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
MoU with Adani Group Gujarat Government: ઉડાન પ્રોજેકટ હેઠળ અદાણી ફાઉન્ડેશન વિદ્યાર્થીઓના બે દિવસના શૈક્ષાણિક પ્રવાસનું આયોજન અમદાવાદથી મુંદ્રા ખાતેના અદાણી બંદર, અદાણી પાવર અને અદાણી વિલ્માર અને સૂરતથી હઝીરા ખાતેના અદાણી બંદરના એક દિવસના એમ બે સ્થળોએથી આયોજન કરી રહ્યું છે. આ પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક સંસ્થાનોની મહાકાય કામગીરીની તલસ્પર્શી વિગતોથી વાકેફ કરી તેઓને તેમના જીવનમાં વિશાળ સ્વપ્ન જોવા પ્રેરણા પૂરી પાડવાનો છે.
વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૯ સુધીમાં ભારતભરમાં અદાણીના ઔદ્યોગિક પ્રકલ્પોમાં પર૬૧ શૈક્ષણિક પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩,૪૯,૫૮૦ વિદ્યાર્થીઓએ અદાણી જુથની ઔદ્યોગિક ગતીવિધીઓ પ્રત્યક્ષ નિહાળી છે.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલીન અદાણીએ જણાવ્યું હતું કે, “આ પ્રવાસ વર્ગખંડની બહાર યુવા વિદ્યાર્થીઓને તદ્દન અલગ અને એક નવા પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ આપે છે. જ્યારે, યુવા બુધ્ધિધન વિશાળ વિચારશે ત્યારે આવતીકાલના યુગ પ્રવર્તક અને સિધ્ધહસ્ત બનશે જે રાષ્ટ્ર નિર્માણ તરફનું એક મહાન કદમ બનશે.”
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીના જીવન પરિવર્તનની વાસ્તવિક કથા પ્રેરિત ઉડાન અદાણી ફાઉન્ડેશને શરુ કર્યો છે. એક બાળક તરીકે અદાણીએ ગુજરાતના કંડલા મહાબંદરની સૌ પ્રથમવાર મુલાકાત લીધી હતી. બંદરનો નજારો જોઇને અભિભૂત થયેલા ગૌતમ અદાણીએ એક દિવસ પોતાના બંદરનું સ્વપ્ન સેવ્યું હતું. ત્યારબાદનો ઇતિહાસ સર્વવિદીત છે.
ગુજરાતનો શિક્ષણ વિભાગ રાજ્યની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ, ધો.૯ થી ૧૨ની શાળાઓ, સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વાયત શાળાઓને ઉડાન પ્રોજેકટની ભલામણ કરશે. આ સંસ્થાઓના આચાર્યશ્રીઓ, મુખ્ય અધિકારીઓ અથવા પ્લેસમેન્ટ અધિકારીઓ પોતાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન નકકી કરવા ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકશે.
ટેકનિકલ એજ્યુકેશન વિભાગ ઉડાન પ્રોજેકટ અને શૈક્ષણિક સંસ્થાઓને લગતા અદાણી ફાઉન્ડેશનની અન્ય પહેલનો પરિચય આપવા માટે ઓનલાઇન અને ઓફલાઇન સેમિનાર ગોઠવવામાં સહાયરૂપ થશે. તદુપરાંત, મંજુરી કે પરવાનગીની જુરર હોય ત્યાં પણ શૈક્ષણિક સંસ્થા ઓને મદદરૂપ થશે. માર્ચ-૨૦૨૦થી કોવિડ-૧૯ના કારણે આ પ્રોજેકટ મુલતવી રાખવામાં આવ્યો છે. અદાણી ફાઉન્ડેશન પ્રોજેકટ ફરી ક્યારે શરૂ કરવો તેનો નિર્ણય લેશે.
ઉલ્લેખનિય છે કે, ૧૯૯૬માં સ્થાપવામાં આવેલા અદાણી ફાઉન્ડેશનની સમાજોત્થાનની ક્ષિતિજ વિવધ ક્ષેત્રના નિષ્ણાતોની ટીમ સાથે દેશના ૧૮ રાજયો અને ૨૪૧૦ નગરો અને ગામડાઓ સુધી વિસ્તરી છે. જે લોક કલ્યાણના અવનવા આયામો અમલમાં મૂકીને લોકોને તેની સાથે જોડે છે.
૩૦ લાખ ૫૦ હજારથી વધુ લોકોની જિંદગી સાથે જોડાઇને શિક્ષણ, જન આરોગ્ય, લાંબા ગાળાના જીવન નિર્વાહ વિકાસ અને આંતર માળખાકીય વિકાસ એવા ચાર ક્ષેત્રો ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ગ્રામ્ય અને શહેરી સમાજના લાંબાગાળાના વિકાસ અને સંમિલ્લીત વૃધ્ધિ સાથે સામાજીક મૂડીનું સર્જન કરવાની દીશામાં પૂરી સંવેદનશીલતા સાથે અદાણી ફાઉન્ડેશન આગળ વધી રહ્યું છે.