Haiti Earthquake: હૈતીમાં શનિવારે 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, 304 લોકોના મોત- 1,800 લોકો ઘાયલ
Haiti Earthquake: વડાપ્રધાને દેશભરમાં એક મહિનાની ઈમરજન્સી સ્થિતિની જાહેરાત કરી છે અને જ્યાં સુધી નુકસાનનું આકલન ન થઈ જાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મદદ નહીં માંગવામાં આવે તેમ જણાવ્યું હતું
નવી દિલ્હી, 15 ઓગષ્ટઃ Haiti Earthquake: દક્ષિણ પશ્ચિમ હૈતીમાં શનિવારે 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે અનેક ઈમારતો કડડભૂસ થઈને પડી ગઈ હતી અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 304 લોકોના મોત થયા છે. એક અહેવાલ પ્રમાણે ઓછામાં ઓછા 1,800 લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે સેંકડો ઘર ધસી પડ્યા છે જેથી લોકો રસ્તા પર આવી ગયા છે.
શનિવારે આવેલા ભૂકંપના કારણે અનેક શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે તથા ભૂસ્ખલન થવાથી ભૂકંપના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલા 2 સમુદાયો વચ્ચેનું બચાવ અભિયાન પ્રભાવિત થઈ રહ્યું છે. કોરોના વાયરસ મહામારીના કારણે પહેલેથી ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની પીડામાં વધારો થયો છે. દેશના રાષ્ટ્રપતિની હત્યા અને ગાઢ બની રહેલી ગરીબીના કારણે રાષ્ટ્ર પહેલેથી જ સંકટમાં છે.
આ પણ વાંચોઃ Public V/s Government: આ આસુંઓમાં ભરી છે દેશદાઝ !
અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણના અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી આશરે 125 કિમીના અંતરે છે. આગામી સપ્તાહની શરૂઆતમાં સંકટમાં વધારો થઈ શકે છે કારણ કે, ગ્રેસ વાવાઝોડું સોમવારે કે મંગળવારે હૈતી પહોંચી શકે છે. ભૂકંપ બાદ આખો દિવસ અને રાતે આંચકા અનુભવાયા હતા. બેઘર થઈ ગયેલા લોકો અને જે લોકોના ઘર પડવાની તૈયારીમાં છે તે સૌએ ખુલ્લામાં રસ્તા પર રાત વિતાવી હતી.
વડાપ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું કે, જ્યાં શહેર તબાહ થઈ ગયું છે અને હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે ત્યાં મદદ મોકલવામાં આવી રહી છે. હૈતીની નાગરિક સુરક્ષા એજન્સીના ડિરેક્ટર જૈરી ચાંડલરે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા 304 નોંધાઈ છે અને દેશના દક્ષિણ ક્ષેત્રમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા 860 ઘર નષ્ટ થઈ ગયા છે અને 700થી વધારે ક્ષતિગ્રસ્ત થયા છે.
વડાપ્રધાને દેશભરમાં એક મહિનાની ઈમરજન્સી સ્થિતિની જાહેરાત કરી છે અને જ્યાં સુધી નુકસાનનું આકલન ન થઈ જાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મદદ નહીં માંગવામાં આવે તેમ જણાવ્યું હતું.