Bus accident in kullu: હિમાચલના કુલ્લૂની ખાઇમાં બસ ખાબકતા 13નાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારને બે લાખની સહાયની જાહેરાત
Bus accident in kullu: બસમાં કુલ 15 લોકો સવાર હતા જોકે બે લોકો ગંભીર રીતે ઘાયલ, હાલ સારવાર હેઠળ
નવી દિલ્હી, 06 જુલાઇઃ Bus accident in kullu: હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં સૈંજમાં સોમવારે સવારે એક ખાનગી બસને અકસ્માત નડયો હતો, જેને પગલે બસમાં સવાર પૈકી ૧૩ લોકોના મોત નિપજ્યા હતા. બસમાં કુલ ૧૫ લોકો સવાર હતા જોકે બે લોકો ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેમની સારવાર ચાલી રહી છે. બસ જંગલા ગામમાં ૨૫૦ મીટર ઉંડી ખાઇમાં પડી ગઇ હતી. જેને પગલે ૧૩ લોકો માર્યા ગયા હતા.
એવા અહેવાલો છે કે હિમાચલ પ્રદેશના જે રોડ પર આ બસ જઇ રહી હતી તે અત્યંત કાચો હતો, જેને પગલે મુસાફરોએ પણ આ રોડ પર બસ ન ચલાવવા ડ્રાઇવર અને બસ સંચાલકોને ચેતવ્યા હતા. જોકે તેમની આ વિનંતી પર ધ્યાન ન આપવામાં આવ્યું અને ડ્રાઇવરે તે જ રસ્તે બસ ચલાવી જેને પગલે એક ખાઇમાં બસ ખાબકી હતી.
હવે આ સમગ્ર મામલાની તપાસ મેજિસ્ટ્રેટ દ્વારા કરાવવામાં આવશે. આ ઘટના સવારે ઘટી હતી, બસ ધડાકાભેર ખાઇમાં પડી હતી, જેનો અવાજ ગામના આસપાસના લોકોએ પણ સાંભળ્યો હતો. અવાજ સાંભળતા જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં સવાર લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ૧૩ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમની સારવાર ચાલી રહી છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્યા ગયેલા અને ઘાયલોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ માર્યા ગયેલાના પરિવારને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, આ સહાય વડાપ્રધાન નેશનલ રીલિફ ફંડમાંથી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Cooking gas price hiked: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધુ 50 રૂપિયાનો વધારો