Emergency meeting:દેશમાં કોરોનાના વધતા કેસોના કારણે સરકારની ચિંતામાં વધારો, પીએમઓએ બોલાવી તાત્કાલીક બેઠક
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક આવેલા ઊછાળાથી કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. કોરોનાના કેસ વધતાં વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ મંગળવારે ઈમર્જન્સી બેઠક(Emergency meeting) બોલાવી હતી. આવા સમયમાં કેન્દ્ર સરકારે કોરોનાના રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે રાજ્યોને નિર્દેશ આપ્યા છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ પછી હવે કેન્દ્ર ૫૦ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની યોજના તૈયાર કરી રહી છે. વધુમાં ઓછા સમયમાં ૨૭ કરોડથી વધુ લોકોને રસી આપવાનું લક્ષ્ય પૂરું કરવા માટે હવે સરકારે રસીકરણ અભિયાનમાં ખાનગી ક્ષેત્રને પણ મંજૂરી આપવાની તૈયારી કરી છે. એટલે કે આગામી સમયમાં ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની રસી અપાય તેવી શક્યતા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં મંગળવાર સુધીમાં કોરોનાની રસીના કુલ ૧,૧૯,૦૭,૩૯૨ ડોઝ અપાયા છે, જેમાં ૧,૦૪,૯૩,૨૦૫ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે જ્યારે ૧૨,૬૧,૫૮૩ લોકોને બીજો ડોઝ અપાયો છે. દેશમાં ૧૨ રાજ્યોમાં રજિસ્ટર્ડ સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી ૭૫ ટકાને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે જ્યારે ૧૧ રાજ્યોમાં આ ટકાવારી ૬૦ ટકા જેટલી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ પછી હવે સરકાર આગામી તબક્કામાં ૫૦ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની યોજના બનાવી રહી છે.
(Emergency meeting) નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે જણાવ્યું હતું કે રસીકરણ અભિયાનના આગામી તબક્કાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, રસીકરણના પ્રથમ બે તબક્કાથી વિપરિત આગામી તબક્કામાં ખાનગી સેક્ટરની ભાગીદારી વધુ હશે. તેમણે ઉમેર્યું કે હાલ એક દિવસમાં ૧૦ હજાર લોકોને રસી અપાઈ રહી છે, જેમાંથી બે હજાર રસી સરકારની દેખરેખ હેઠળ ખાનગી હોસ્પિટલો આપી રહી છે. સરકાર રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માગતી હોવાથી તેમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવામાં આવશે. સરકારનું એક દિવસમાં ૫૦ હજાર રસી આપવાનું લક્ષ્ય છે.
દરમિયાન દેશમાં મંગળવારે કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧.૫૦ લાખથી નીચે જઈને ૧,૪૭,૩૦૬ થઈ છે અને તે કોરોનાના કુલ કેસના ૧.૩૪ ટકા જેટલી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૫૮૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૩,૨૫૫ દર્દીઓ સાજા થયા છે. વધુમાં દેશમાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. પરંતુ કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક છે. કોરોનાના કુલ એક્ટિવ કેસમાંથી ૩૮ ટકા એકલા કેરળમાં અને ૩૭ ટકા મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ૨૧ કરોડથી વધુ ટેસ્ટ થઈ ગયા છે. સમગ્ર દેશમાં કોરોનાના એકંદર એક્ટિવ કેસ નિયંત્રણમાં છે, માત્ર કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં સાર્સ-સીઓવી-૨ – એન૪૪૦કે અને ઈ૪૮૪કે એમ કોરોનાના બે વેરિઅન્ટ નોંધાયા છે, પરંતુ હાલમાં આ રાજ્યોમાં કોરોનાના કેસમાં આવેલા ઊછાળાને કોરોનાના આ નવા વેરિઅન્ટ સાથે સાંકળવા યોગ્ય નથી. તેલંગાણામાં પણ કોરોનાના બે પ્રકારમાંથી એક નોંધાયો છે.
આ પણ વાંચો…