Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા એકાદશી કહેવામાં આવે છે, વાંચો અજા એકાદશી વ્રત કથા
Aja ekadashi: પંચાગ ભેદના કારણે અનેક જગ્યાએ 22 તો થોડી જગ્યાએ 23 ઓગસ્ટના રોજ એકાદશી વ્રત કરવામાં આવશે
ધર્મ ડેસ્ક, 23 ઓગષ્ટઃ Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે. સાથે જ આ દિવસે તુલસી પૂજા અને તેના દાન કરવાની પણ પરંપરા છે. જેથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. આ તિથિને લઈને પંચાંગ ભેદ પણ છે. અનેક જગ્યાએ 22 તો થોડી જગ્યાએ 23 ઓગસ્ટના રોજ એકાદશી વ્રત કરવામાં આવશે.
આ વ્રતના નામનો અર્થ
આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે છે એટલે ફરી જન્મ લેવો પડતો નથી. એટલે તેને અજા કહેવામાં આવે છે. આ વ્રત કરવાથી રાજા હરિશચંદ્રને વિજય પ્રાપ્ત થયો હતો અને તેમને પોતાનું રાજ્ય પાછુ મળી ગયું હતું. એટલે તેને જયા એકાદશી કહેવામાં આવે છે.
અજા એકાદશી વ્રત કથા
શ્રીકૃષ્ણએ અર્જુનને આ એકાદશી વ્રતના વિધિ-વિધાન અને મહત્ત્વ અંગે જણાવ્યું હતું. તેમણે અર્જુનને જણાવ્યું કે શ્રાવણ મહિનામાં આવતી આ અજા એકાદશી વ્રતની કથાને ભક્તિ ભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે. સાથે જ દરેક પ્રકારના પાપ પણ દૂર થઈ જાય છે.
આ પણ વાંચોઃ Jaineeraj play tarak mehta in TMKOC: ટૂંક સમયમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે નવા મહેતા સાહેબ
શ્રીકૃષ્ણ કહે છે કે પૌરાણિક કાળમાં અયોધ્યામાં શ્રીરામના વંશજ ચક્રવર્તી રાજા હરિશચંદ્ર થયાં હતાં. તેઓ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતાં. દેવતાઓએ તેમની પરીક્ષા લીધી. જેથી રાજાએ સપનામાં જોયું કે ઋષિ વિશ્વામિત્રને તેમણે પોતાનું રાજ્ય દાન આપી દીધું છે. સવારે સાચે જ વિશ્વામિત્રએ તેમને કહ્યં કે તમે સપનામાં મને તમારું રાજ્ય દાન આપ્યું છે. તે પછી રાજા હરિશચંદ્રએ સત્યનિષ્ઠ વ્રતનું પાલન કરીને સંપૂર્ણ રાજ્ય વિશ્વામિત્રને આપી દીધું.
દાન માટે દક્ષિણા ચૂકવવા માટે રાજા હરિશચંદ્રને પૂર્વ જન્મના કર્મના ફળના કારણે પત્ની, દીકરા અને પોતાને વેચવા પડ્યાં. હરિશચંદ્રને એક વ્યક્તિએ ખરીદી લીધા જે સ્મશાનમાં લોકોનો અગ્નિસંસ્કાર કરાવતો હતો. ત્યારે રાજા એક ચાંડાલના દાસ બની ગયાં. તેમણે કફન લેવાનું કામ કર્યું, પરંતુ આ મુશ્કેલીના સમયના કામમાં પણ સત્યનો સાથ છોડ્યો નહીં.
જ્યારે આ કામને કરવામાં અનેક વર્ષ વિતી ગયા ત્યારે તેમને પોતાના આ નીચ કર્મ ઉપર ખૂબ જ દુઃખ થયું અને તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યાં. જ્યારે તેઓ આ ચિંતામાં બેઠા હતાં ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યાં. હરિશચંદ્રએ તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું.
તેનાથી મહર્ષિ ગૌતમ પણ દુઃખી થયાં અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કરો. તેનાથી બધા જ પાપ દૂર થઈ જશે. સમય આવતા રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું. જેથી તેમના પાપ દૂર થઈ ગયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળ્યો અને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું.