Hanuman dandi mandir: રામ ભક્ત હનુમાનજી સહિત તેમના પુત્રની પૂજા કરવામાં આવતું એકમાત્ર છે આ મંદિર- વાંચો વિગત
Hanuman dandi mandir: આ મંદિરમાં હનુમાનને સોપારીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ અહીં હનુમાનની સાથે સાથે તેના પુત્રની પણ પૂજા કરવામાં આવે છે
ધર્મ ડેસ્ક, 16 એપ્રિલઃ Hanuman dandi mandir: ભારતના પશ્ચિમ છેવાડે અરબી સમુદ્રના કાંઠે બેટ દ્વારકાથી 5 કિ.મી દૂર પૂર્વમાં હનુમાનનું પુરાણું પ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિર આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં હનુમાનની સાથે સાથે તેના પુત્ર મકરધ્વજની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે સુપ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિરે હનુમાનજયંતીના રોજ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. એમાં હનુમાનજીનો પ્રાગટ્યો ઉત્સવ, નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ મહોત્સવ તેમજ અખંડ રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
બેટ દ્વારકા ટાપુ પર ભગવાન હનુમાનનું દાંડી મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાન જયંતીના દિવસે ભક્તોનું ઘોડાપુર ઊમટે છે. આ સ્થળે હનુમાનજી પાતાળમાંથી રામચંદ્રજી અને લક્ષ્મણજીને લાવ્યા હતા. એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે. આ મંદિરમાં હનુમાનને સોપારીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ અહીં હનુમાનની સાથે સાથે તેના પુત્રની પણ પૂજા કરવામાં આવે છે. હનુમાન અને તેના પુત્રની મૂર્તિઓનું સ્થાપન કરાયું છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે એમાં હનુમાન તેમજ તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિમાં કોઈ શસ્ર નથી.હનુમાન અને તેમના પુત્રનું પાતાળલોકમાં થયું હતું.
મિલન પૌરાણિક માન્યતા મુજબ, અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણને દેવીની સમક્ષ બલિ ચઢાવવા માટે પાતાળમાં લઈ ગયા હતા. ત્યારે હનુમાનજી તેમને છોડાવવા માટે પાતાળમાં ગયા હતા. ત્યારે અહિરાવણના પહેરદાર હનુમાનનો પુત્ર મકરધ્વજ હતો. આ દરમિયાન બન્ને પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે વચ્ચે માછલી આવી હતી અને હનુમાનજીને કહ્યું કે તમે કેમ આની સાથે યુદ્ધ કરો છો, આ તો તમારો જ પુત્ર છે.
ત્યાર બાદ મકરધ્વજે પોતાની ઉત્પત્તિની કથા હનુમાનજીને સંભળાવી હતી. જેથી તેમણે અહિરાવણનો વધ કરી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા હતા. શ્રીરામે મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ નિયુક્ત કર્યા હતા અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી.